Friday, June 18, 2010

કેવા હતાં એ મિત્રો : પૃથ્વીરાજ ચૌહાણ અને ચંદ બારોટ...


પૃથ્વીરાજ ચૌહાણ અને ચંદ બારોટ...

આ વાર્તાથી કોણ અજાણ હશે?તમે ઘરડાંઓનાં મોઢે ઘણી વાર સાંભળી હશે...

મહોમ્મદ ઘોરી એ તેની સામે ૧૭ વખત ચડાઈ કરી હતી...

રાજાએ તેને ૧૬ વખત યુધ્ધમાં હરાવ્યો અને દરેક વખતે એ ક્ષત્રિયની યુધ્ધનીતીને ધ્યાનમાં રાખીને તેને મુક્ત કરી દેતો... (બાપુ ખરાને.. એટલે જીવનદાન આપી દે'તા..)

રાજાનો ખાસ મિત્ર, ચંદ બારોટ હતો..જે તેનો ખાસ સલાહકાર પણ હતો...

એવું કહેવાય છે કે જ્યારે પણ રાજ યુધ્ધ કરવા જતો ત્યારે ચંદ બારોટ્ની સલાહ લેતો...

ચંદ બારોટને માં શક્તિનો સાથ હતો... જ્યારે તે માં ની સ્તુતી કરીને પોકાર કરતો ત્યારે તેની જોડે માં સાક્ષાત વાત કરતાં (માં ચામુંડા કે માં હરસિધ્ધિ એમાં મને દ્વિધા છે)

દરેક વખતે તે માં ની રજા લેતો યુધ્ધ માટે અને તો જ રાજા ને જવા દેતો...અને રાજા વિજયી થઈને જ આવતો...

૧૭ મી વખતે જ્યારે ઘોરીએ ચડાઈ કરી,અને ચંદ બારોટે માં ની આજ્ઞા માંગી તો માં એ તેને નકાર ભણ્યો...

ઘણી વાર થઈ પણ એને રજા ન જ મળી... એ દિવસ રાજાની હાર નક્કી હતી...

બારોટે રાજને ના પાડી..પણ ક્ષત્રિય પોતાનો ધર્મ જીવના જોખમે પણ ના છોડે... રાજા પોતાના નિર્ણયથી જરાય વિચલીત ન થયો.

એને મોતની પરવા કર્યા વિના યુધ્ધમાં ઝંપલાવ્યું અને ઘોરીએ આ વખતે રાજાને હરાવ્યો...

ઘોરી મોગલ હતો...તેણે રાજાની ઊદારતા ન યાદ રાખી...ઊલટું રાજાને કેદ કરીને બંદી બનાવ્યો...

તેણે રાજાને કહ્યું,

" હે પૃથ્વીરાજ..તું રજપૂત હોઈશ...તારા ભારતમાં દુશ્મનને પણ માન આપીને છોડી મૂકાય છે...

મને નથી સમજાતું એ...પણ મારા દેશમાં..મારી યુધ્ધનીતી મુજબ..દુશ્મનને મૃત્યુદંડ આપવામાં આવે છે...

કારણ કે દુશ્મનને એક વાર છોડો તો એ ફરી વાર તમને હેરાન કરી શકે છે...અને કદાચ તમને વધુ આઘાત પહોંચાડી શકે છે...

જેમ તેં મને ૧૬ વખત છોડ્યો છતાં પણ હું દરેક વખતે બમણાં જુસ્સાથી હુમલા કરતો હતો.. અને છેવટે તને હરાવીને કેદ કર્યો ને?

હવે હું તને મૃત્યુદંડ કરીશ અને એ પણ મારા દેશની પ્રજાની વચ્ચે જાહેરમાં..."

ચંદ બારોટ આ વાતથી અજાણ નહોતો...તે રાજાની મદદે પહોંચ્યો... ખાસ મિત્ર હતો, અને એમાંય બારોટ બંકો...મર્દ મૂછાળો...પછી ક્યાંથી પાછો પડે!

તે કેદખાનામાં રાજાને મળવા પહોંચ્યો... રાજાનો મૃત્યુનો દિવસ હવે નજીક જ હતો...રાજા સાથે મસલત કરીને તેણે પોતાનાં ચોગઠાં ગોઠવી દીધાં...

તેણે ઘોરીને સંદેશો આપ્યો કે,

" પૃથ્વીરાજ ચૌહાણ પાસે એક અદભૂત વિદ્યા છે...તે અંધારાંમાં કે આંખો બંધ રાખીને બાણથી નિશાન લગાવી શકે છે...

અને મૃત્યુ પહેલાં તેની આખરી ઈછ્છા પોતાની વિદ્યા બતાડવાની છે..."

આખરે એ દિવસ આવી પહોંચ્યો...તે ગોઝારો દિવસ...

લોકો રાજપૂતનૂ શૂરાતન અને એના શૂરાતનનું પરિણામ..એનું મોત...જોવા એકઠાં થયાં..

ઠસોઠસ ભીડ... આખો વિસ્તાર લોકોની ભીડ અને કોલાહલથી ભરાઈ ગયો...

તેમની આંખોમાં વિસ્મય હતું.. કે આવો રાજા ૧૭મી વખતે હાર્યો કેવી રીતે... તેને જોવાની તેમને તાલાવેલી હતી...

જાણે કાંઈ અજાયબી જ હતો એ તેમની માટે...

છેવટે ઘોરીના આદેશથી પૃથ્વીરાજ ચૌહાણને સભામાં લવાયો...એની યુધ્ધનીતીને મૂર્ખતામાં ખપાવી...

એની મર્દાનગી અને ઊદારતાને નજર અંદાજ કરીને એની હારને જ ગાઈ...

રાજાને ધનુષ-બાણ આપવામાં આવ્યાં...એની આંખો પર પટ્ટી બાંધી...અને ઘોરીએ રાજાને આદેશ કર્યો..

"પૃથ્વીરાજ ચૌહાણ, રાજપૂત... ભારતના ક્ષત્રિય...બતાવ તારી તાકાત...

તારી એ વિદ્યા જેનાં મે કેટ-કેટલાં વખાણ સાંભળ્યાં છે...ચલાવ બાણ આ નિશાન પર...

બતાવ ભારતની એ વિદ્યા..."

ચંદ બારોટ વિદ્વાન કવિ અને હાજર જવાબી હતો.


તેણે તરત જ પૃથ્વીરાજને એક દોહો ગાઈ સંભળાવ્યો. એ દોહામાં તેણે રાજાને સંકેત આપ્યો અને ઘોરી ક્યાં ઊભો છે તે સ્થાનની દીશા બતાવી...

પૃથ્વીરાજ ચૌહાણએ નિશ્ચિત નિશાનને બદલે... ... ...

એ દીશામાં ધ્યાન કેન્દ્રિત કર્યું...અને નિશાન સાધ્યું...

અને છેક એક હાથના પંજાથી તે બીજા હાથના ખભા સુધી ખેંચેલી ધનુષની પ્રત્યંચા છોડી...


અને...


નિશાન લાગ્યું... ... ... પણ ઘોરીના કપાળમાં... એક દમ વચ્ચે...

અને ઘોરી પોતાના છેલ્લાં શ્વાસ ગણવા લાગ્યો...તેણે વિચાર્યું પણ નહોતું એવી ઘટના અચાનક ઘટી ગઈ...

સૈનિકોએ રાજાને પકડવા પગ માંડ્યા... ચંદ બારોટ પણ ત્યાં જ હાજર હતો... પોતાના મિત્રની અંતિમ ક્ષણોમાં સાથ દેવા...

ચંદ બારોટે પૃથ્વીરાજ ચૌહાણની સામે કટાર ધરી.. અને બીજી પોતાના હાથમાં રાખી...


તરત જ પૃથ્વીરાજ ચૌહાણ અને ચંદ બારોટે.. જેઓ એકબીજાના જીગરજાન મિત્રો હતા...

એક બીજાને કટાર ભોંકી દીધી...અને છાતી સોંસરવી આર પાર કરી દીધી...જેથી મુગલોના હાથે પકડાવું ના પડે...

અને એકબીજાને એટલા માટે ઘા કર્યો... કે ક્ષત્રિયના નિયમની અવહેલના ન થાય...

ક્ષત્રિય કોઈ પણ સંજોગોમાં આત્મહત્યા ન કરે...માટે જ તેમણે બન્નેએ આવું પગલું ભર્યું...

બારોટે પણ પોતાનો મિત્ર-ધર્મ જાળવવા જીવ આપતાં પળનો યે વિચાર ન કર્યો...

આવા હતાં એ... એ મિત્રો...

જેમનાં નિયમો..નિષ્ઠા .. પ્રેમ.. શક્તિ... ભક્તિ... અને કુનેહને આપણે આજે પણ વિસરી શક્યાં નથી...

~પાર્થ બારોટ~

No comments:

Post a Comment