Monday, March 14, 2011

છેલ્લા મહિનામાં અંતરમનમાંથી ઊભરાયેલા શબ્દોની માળા...

જેમ ટોચ પર બેઠેલો કાગડો કડી ગરુડ બનતો નથી...
તેમ યોગ્યતા વગરનો માણસ સ્થાન નિભાવી શકતો નથી...

વાતોના વડા કરનારા લોકો અહીં બહુ છે આસપાસ...એમને આવડે છે .. બસ આજ ખાસ!

દિમાગનું દહીં... અને મગજના ભજીયા...
જરૂર પડી ત્યારે જ પ્રભુને ભજયા?

गुनाह वो नहीं ...जो कायदा और क़ानून तोड़ दे...
गुनाह वो है .. जो ...
दिल, रिश्ते और प्यार की लडियां तोड़ दे...
ज़मीर और ईमान की कड़ियाँ तोड़ दे...

ઈચ્છા એ દુખની માં છે...અને અપેક્ષા એ દુખની માસી! બંને સરખી જ છે...ફરક માત્ર એ છે... કે ઈચ્છા અંદરથી આવે છે.. અને અપેક્ષા બદલામાં!

દુખ અને સુખ જેવું કઈ કદાચ હોતું નથી...
માણસ પરિસ્થિતિને એમાં પરિવર્તિત કરે છે પોતાની માનસિક અવસ્થાને કારણે!
કઠીન પરિસ્થિતિમાં સહન કરનારા લોકો જીતે છે પોતાની ધીરજને કારણે!

કાલની ચિંતા કરવી જોઈએ... પણ એટલી બધી નહિ કે તમારી 'આજ' નો કાઈ મતલબ ના રહે! અને એમ તો ચિંતા ચિતા સમાન...અને ચિંતામાંથી બાર આવવાના રસ્તા છે....પણ...ચિતામાંથી...?

Friday, December 24, 2010

મજુર નથી

હુ હાથ ને મારા ફેલાવુ, તો તારી ખુદ્દાઈ દુર નથી,

હુ માગુ ને તુ આપી દે, એ વાત મને મજુર નથી,

નાઝીર દેખઇયા

ભુલ નિક્ળી

કાઇ પણ નથી લખાણ છ્તા ભુલ નિક્ળી,

કેવી વિચીત્ર પ્રેમ ની કોરી કીતાબ છે.

Mariz

Saturday, December 11, 2010

સિંગાપોરની મુલાકાત: એક સરવૈયું...અને મનની વાતો...

સિંગાપોરમાં આવે વખત થયો...ઓક્ટોબરથી અહી આવેલો.. અને હવે પાછો જઈશ, ત્યારે બે મહિના પૂરા થશે. લખવાની ઈચ્છા તો ઘણા સમયથી હતી, પણ કામના ભારણને લીધે એ શક્ય ન બન્યું...

અહીની પ્રવાસની વાતો તો બહુ મળશે તમને, અને અહી વિષે જાણવું પણ સરળ છે. આજે Internet નાં માધ્યમને લીધે તમે પ્રવાસ શરુ કરતા પહેલા જ બધું જાણી શકો છો...અહી આપણે એની વાત નથી કરવાના... :)

અહી આવીને શરૂમાં તો બધું ખૂબ અજાણ્યું લાગ્યું. નવા લોકો, નવો દેશ, નવી રીતો... અને નવું નવું જોવાનું અને જાણવાનું. અરે, પહેલા અઠવાડિયે તો સૌથી મોટો ત્રાસ જમવાનો નડ્યો..કારણકે અહી સાત્વિક શાકાહારી હોટેલ શોધવી પડે એમ હતું... પણ ધીરે ધીરે બધું થાળે પડી ગયું. વાતાવરણ તો ગરમી અને હૂંફાળું, એટલે એમાં આપણને લોકોને તકલીફ ઓછી પડે.આ દેશ હશે મુંબઈથી પણ નાનો કદાચ, પણ બધું ખૂબ જ વ્યવસ્થિત.

પણ પેલું કે છે એમ,"નવી વહુ નવ દા'ડા". બધું દૂરથી જોઇને સારું સારું લાગે, ફરવાની પણ મજા આવે, પણ વધારે સમય ઘરથી દૂર રહેવાનું આવે ત્યારે જ ખબર પડે.એક તો અહીના લોકોની રીતભાત જ અલગ! અહી કોઈ બસ કે ટ્રેઈનમાં પણ બાજુમાં બેઠેલા જોડે વાત ના કરે કે ન તો કોઈ પ્રતિભાવ આપે! અરે ઉપરથી બધા પોત-પોતાના iPod/iPhoe/iPad/Games એમાં જ વ્યસ્ત રહે. અરે ટ્રેઈન માં જઈએ તો લાગે કે આપણે એકલા જ મુસાફરી કરીએ છીએ!કોઈ અવાજ નહિ, ભલે ચિક્કાર ભરેલી ટ્રેઈનમાં પગ મૂકવાની એ જગ્યા ન હોય...!અને સાલું આપણા  જેવા લોકો, કે જે માણસોથી જ ટેવાયેલા હોય, વાતો કરવાની આદત હોય, મિત્રો વગર સવાર જ ન પડતી હોય, એની તો જે હાલત થાય? એ તો જયારે થાય ત્યારે જ ખ્યાલ આવે ને :).

જેમ જેમ કામમાં વ્યસ્તતા થતી ગઈ, એમ સમય પણ નીકળતો ગયો. અને આજે હવે પાછા  જવાનો વખત આવ્યો ત્યારે નક્કી કર્યું કે આ બે મહિનાનું સરવૈયું શું કાઢવું? એ જ, કે "ધરતીનો છેડો એટલે ઘર". આમાં હું કાઈ નવી વાર્તા માંડતો નથી યાર, આપણે બધા આ વાત જાણીએ અને સમજીએ છીએ..છતાં અવગણતા તો નથી ને, એ આપણે જોવાનું છે. ગમે તેમ કાંદા કાઢો, તો એ છેલ્લે તો ઘરે જ જવાનું છે એ વાત યાદ આવતા એક અનેરી "હાશ!" અનુભવાય છે...

અહી આવીને મેં બીજા દેશોમાં જઈને ત્યાં પ્રમાણે પોતાની રીતભાતો (એટલે નહિ કે કપડા, પણ સંસ્કાર, નીતિ-નિયમો અને ખાધાખોરાકી વગેરે) બદલીને Foreigner થઇ ગયેલા દેશીઓ જોયા છે... અને અહીના લોકો કરતા પણ વધુ અહીના હોય એવો દેખાડો કરતા હોય છે.અને પોતાના દેશનું નામ આવતા જાત જાતના બહાના કાઢે, કે "અહી તો બધું સરસ છે.. public transport સારું છે.. બધે AC છે... બહુ જ safe છે...લીલોતરી કેટલી છે?.." અને કૈક કેટલાયે બાના...મે યાદ ય નથી બોલો શું કહું હવે :)

પણ એને કહીએ ભાઈ, મુદ્દાની વાત કર કે તું અહી ડોલર ભેગા કરવામાં મજૂરી કરે છે...અને તને ત્યાં દેશમાં કદાચ જવાબદારી નહિ લેવી હોય ઘરની?કે કાંતો તને ત્યાની હરીફાઈમાં મજા નથી આવતી? તને દેશની ઠંડી, ગરમી અને ચોમાસું યાદ નથી આવતા...તને નવરાત્રી, દિવાળી, હોળી, ઉતરાણ, રમજાન, ઈદ... અરે ગણ્યા ગણાય નહિ એટલા તહેવારો છે, જે છાશવારે આપણને નવી ઉમંગ અને નવું જોમ આપે છે.. એ નથી ગમતું...કે તને તારા મહોલ્લા/સોસાયટીના ગલ્લે ગપ્પા મારવા નથી ગમતા? કે ત્યાની બજારમાં મળતી ચટપટી વાનગીઓ નથી ભાવતી? તારા મિત્રો નો સાથ કરતા તને એકલવાયું જીવન સારું લાગે છે? કે તને તારી માં-બાપે લાવેલી બાયડી નથી ગમતી?કે પછી ખુદ એ માં-બાપ જ બોજો લાગે છે જેના લીધે તું આજે આ જગ્યાએ છે? ઘણું બધું હોઈ શકે છે મિત્રો...અને એવું મને તો કઈ નથી લાગ્યું, કે જેના લીધે આટલું બધું છોડીને એકદમ સરળતાથી કોઈ ઘરથી દૂર આવી જાય!

હોય, કોઈ કોઈને પૈસાની સમસ્યા મારે આવવું પણ પડે. પણ થોડાક વર્ષોમાં  (મારો મતલબ ૨ થી 5 વર્ષ જ) ત્યાં જતા કેમ નથી રહેતા તો? પણ અહી આવીને ધીરે ધીરે માયા વધતી જાય...અને ખુદ ભગવાને કહ્યું છે એમ, માયા કોઈને મૂકતી નથી.. અહી વસાવેલું બધું મૂકીને તો કેવી રીતે ઉડે પાછા? એટલે બસ, પછી NRI થઇ જવાનું.. અને ખરેખર તો ધોબીના.......... નહિ કહું તો એ સમજી જ ગયા હશો :) અને પછી વર્ષે દા'ડે દેશમાં આવીને નાટકો કરવાના... કે મને તો આ ના ચાલે,, તીખું નાં ચાલે... પાણી સાદું તો નાં જ પીવાય...અરે એ તો બધા જાણે જ છે કે કેવા કેવા નાટકો થતા હોય છે :)

છેલ્લે એક જ વાત કહીશ...કે ઘરે ન રહી શકો તો કઈ નહિ, પણ જ્યાં જશો ત્યાં જ ઘર બનાવી દેશો, તો પછી પોતાના ઘરે ક્યારે જશો? અહી ઘરનો મતલબ તમે સમજી જ ગયા હશો... ઘરનો મતલબ એટલે ખાલી પોતાના ઘરના જ નહિ, પણ સગા-સંબંધી, મિત્રો, પાડોશી અને એવી કેટલીયે વાતો જે તમને ખરેખર ઘર શું છે અને ક્યાં છે તે યાદ અપાવ્યા કરશે...મળશે તમને અહી તમારા બાળપણના મિત્રોની કે ગામડાની માટીની સુગંધની યાદો? અરે તમે દેશમાં રહીને પણ વતનના ગામડે ઓછા જતા હોવ, તો વિદેશી થઈને તો... જરૂર છે મારે કઈ કહેવાની?

જિંદગી એક જ છે... નક્કી આપણે કરવાનું છે... કે શું જોઈએ છે....

Tuesday, November 30, 2010

સનેડો સનેડો...

મિત્રો... નવરાત્રી તો સિંગાપોરમાં ગઈ...એટલે ગરબાની રમઝટ હું માની શક્યો નથી... પણ આ એક સનેડો અહી રજૂ કરું છુ. એમાં તમારા વિચારો અને પંક્તિઓ પણ આવશે એવી હું આશા રાખું છુ... :)
 
એ.... સિંગાપોરમાં વરસાદ અને ગરમી પડે.... ઠંડીનું નહિ નામોનિશાન.....
લોકો બધા iPhone/iPod વાપરે....વ્યક્તિમાં નહિ કોઈ ભાન/ધ્યાન...
કોઈ કોઈની પરવા નો કરે.... બધા પોતાનું તરભાણું ભારે લાલ સનેડો...
સનેડો સનેડો... સનેડો સનેડો.. સનેડો સનેડો સનેડો લાલ સનેડો...
ગુજરાતની વાર્તા માંડે લાલ સનેડો...ગુર્જર ધરાને યાદ કરાવે લાલ સનેડો...
એ.. internet જ છે સઘળું અહી...બાકી કઈ રાખ્યું નથી...
અહી બધું નકલી નકલી લાગે...એ મારો..ભારત દેશ મહાન લાલ સનેડો....
સનેડો સનેડો... સનેડો સનેડો.. સનેડો સનેડો સનેડો લાલ સનેડો...
ગુજરાતની વાર્તા માંડે લાલ સનેડો...ગુર્જર ધરાને યાદ કરાવે લાલ સનેડો...

Thursday, August 19, 2010

દેશભક્તિ: સ્મશાન વૈરાગ કે સાચી લાગણી?


મિત્રો, હમણાં જ ૧૫ ઓગસ્ટ ગઈ. હિન્દુસ્તાનનો જન્મદિવસ તો ના કે’વાય... પણ હા... નવું જીવતદાન જરૂર મળ્યું હતું એ દિવસે... કઈ કેટલાયે લોકોએ પોતાની આખી જીન્દગી (અને કેટલાકે જીન્દગી, કારણ કે આખી જીન્દગી સુધી તો એ જીવ્યા પણ નથી!).. એની પાછળ ખર્ચી હતી ત્યારે આપણને આજે એ મહામૂલી આઝાદી માણવા મળે છે...


પણ અહી હું આઝાદીની કથા કહેવા માટે નથી બેઠો. એ આપણને બધાને ખબર છે. એ દિવસે બધાને યાદ આવે છે કે "ઓહો... અરે... આજે તો આપનો સ્વતંત્રતા દિવસ છે...આપણે તો ભૂલી જ ગયા હતા સાલું...સારું થયું યાદ આવ્યું". અને ઘણા એવું જ વિચારે કે, "હાશ! ઓફીસ તો નહિ જવું પડે એ દિવસે..ખોટો ધક્કો બચી ગયો...એક રજા મળી ગઈ..." એમાં કોઈ બાકાત નથી.

આપના જેવા સામાન્ય લોકો તો ચાલો ઠીક છે કે એવું વિચારે, કેમ કે એની જોડે કરવા માટે ઘણા કામો હોય. નોકરી-ધંધામાં ઓતપ્રોત રહેતો હોય તો એવું બની શકે. આજના જમાના મુજબ એ બહાનું વાજબી ગણો તો વાંધો નથી. પહેલાં જેવું થોડું છે, જ્યારે લોકોને ખરેખર એ દિવસ યાદ હોય અને દિલથી...માત્ર રજા ખાતર નહિ! પણ આપણા નેતાઓ, એમને શું થાય છે?

કેટલીયે તૈયારીઓ કરશે, કઈક ભાષણો તૈયાર કરશે... જનમેદની ભેગી કરીને લોકોની વાહ-વાહ મેળવવા ક્રાંતિકારીઓ અને સ્વતંત્રતા સેનાનીઓ ને નામે મોટી મોટી વાતો કરશે...અને આપણે લોકો તો છીએ જ બાપુ ઉલ્લુ, ઉલટાની તાળીઓ મારવાની ચાલુ! બધાને જાણે શૂરાતન ચડી જાય, જે સ્મશાન વૈરાગથી કમ નથી.

હા, એ જ.. સ્મશાન વૈરાગ. કોઈના મરણ પ્રસંગે સ્મશાનમાં જનારા લોકો એ સમય પૂરતા દુનિયાથી વિમુખ થઇ જાય અને એવું વિચારે કે "જીન્દગીમાં કઈ છે જ નહી, છેલ્લે તો અહી જ આવવાનું છે." અને ત્યાંથી બહાર નીકળીને? ફરી એ જ રોજબરોજ શરૂ. આઝાદીનો પવન પણ એવો જ છે, એ આગળ પાછળના બે ચાર દિવસ હોય, પછી પાછુ ભૂલી જવાનું.

આઝાદીનો મતલબ એ છે કે જે તક આપણને આટલાં મોટા બલિદાનો આપી અને સંકટો સામે ઝઝૂમી અપાવી છે એ લોકોનું માન-મલાજો જળવાય એવાં કામ કરવા, નહિ કે એનાં નામની બૂમ-બરાડા પાડી રેલી-સરઘસો કાઢવા. કદી ભગતસિંહ, ચંદ્રશેખર, સુભાષચંદ્ર અને કઈ કેટલાયે એવાં લોકો જે ખ્યાતી નથી પામ્યા...જો આપણી જેમ વિચારતા હોત તો? તો હજુ અંગ્રેજોની નીચે જ હોત આપણે. અને જો તેઓ આ દશા જુએ તો સામે ચાલીને અંગ્રેજોને વિનંતી કરીને પાછા બોલાવે એની ખાતરી હું આપું છું!

હાસ્તો, એનાથી મોટી ભૂલ એમને કઈ કરી છે તે એમને સમજાય તો એવું જ કરે ને?એમનાં બલીદાનની તો કોઈ કીમત જ નથી રાખી આજે. દેશ પ્રત્યે જો સાચો પ્રેમ હોય તો તે કર્મથી બતાવવો જોઈએ, નહિ કે વાણી-વિલાસથી. ખાલી ધ્વજ-વંદન કરવાથી કાઈ થશે નહી.દરેકે પોતાની જવાબદારી સમજીને ચાલવું પડશે.નાની-મોટી વાતોમાં જો એવું થાય તો જ દેશને ફાયદો થાય.


શું ગાંધીજીએ હડતાળ એટલે શીખવાડી હતી કે ગમે ત્યારે, ગમે ત્યાં લોકો કોઈ પણ કારણસર અસ્ત-વ્યસ્તતા ફેલાવે? ના, એ હથિયાર સત્યનો માર્ગ છે, કામચોરીનું બહાનું બનાવવા માટે નથી. ગાંધીનગરમાં કોઈ પણ સમયે કોઈ ને કોઈ હડતાળ ચાલુ જ હોય છે, એનું શું કારણ છે? કર્મચારીઓ અને ધારાસભ્યોની વેતન માટે હડતાળ,શા માટે? વેતન વધારો માંગતા પહેલાં તમે વિચાર્યું કે આપણે એટલું કામ કરીએ છીએ જેટલું માંગીએ છીએ? સરકાર કાઈ પોતાનાં ખિસ્સામાંથી નથી આપતી, એ સામાન્ય પ્રજાના ખિસ્સામાંથી આવે છે. જે લોકો મહેનત કરીને કમાય છે અને કર ભારે છે એમાંથી આવે છે. જો સરકાર એમાં વધુ ખર્ચો કરે તો વિકાસ કઈ રીતે થાય? આ એક ઉદાહરણ છે, આવું તો કઈ કેટલુંયે ચાલે છે.

પોતાનાં હકો માંગવા માટે આટલાં તૈયાર લોકો કદી પોતાની ફરજો પૂરી કરી કે નહિ એ વિચારે છે?ના, બસ મારો હક છે...એક જ વાત.

બીજું એ, કે નેતાઓ,ધારાસભ્યો, સાંસદોને દોષ આપવાથી કઈ નહિ વળે. એ પણ આપણામાંથી જ છે ને? જ્યાં સુધી દરેક જન પોતાની જવાબદારી નહી સ્વીકારે ત્યાં લગી આમ જ ચાલતું રહેશે. કટાક્ષમાં લોકો કહે છે કે "ભારત રામભરોસે ચાલે છે" પણ હવે તો રામ ને કૃષ્ણ બધા થાકે એટલો ત્રાસ મચ્યો છે. તેઓ પણ નાસી જશે કંટાળીને, પછી કોણ ચલાવશે? लोक-परलोक ફિલ્મમાં देवेन वर्मा કહે છે તેમ,"संसद वो अखाड़ा है, जहां भारतवर्ष के विभ्भिन क्षेत्रो के लोगो द्वारा चुने गए ५०० जन-प्रतिनिधि देशके सारे लोगोंका भविष्य तय करते हैं!". મતલબ સાફ છે, આપણે જ એવા લોકોને પસંદ કરીએ છીએ જેઓ ગંદકી ફેલાવી રહ્યાં છે.

હમણાં ૧૫ ઓગસ્ટના આગલા દિવસે રાજકોટના ક્રિકેટ મેદાન પર ટ્રકોની ટ્રકો કપચી ઠાલવી દેવાઈ,કારણ? કદાચ મુખ્યમંત્રી જવાના હતા...આવા સમાચાર અખબારમાં વાંચ્યા. આને શું કહેવાનું? એમ થોડું કોઈ પણ સરકાર કે સરકારી અમલદાર જાહેર સંપત્તિનો દુરુપયોગ કરી શકે? જાહે ભલે ના હોય, તો પણ સાવ આ હદે ઉપયોગ? અને એનો ખર્ચ ક્યાંથી આવે છે?મારા-તમારા જેવાના ખિસ્સામાંથી જ ને?

આવું જ થયું અમદાવાદના રસ્તાઓનું. કેટલીયે જગ્યાઓએ ખાડા પડી ગયાં... BRTS ની બસોનું પોટલું પણ ખૂલ્યું છે. એમાં પણ ભલીવાર નથી એવા અહેવાલો આપણે વાંચ્યા. આને શું કહેવાનું? કોણ મંજૂરી આપે છે આવા લોકોને? કોણ આવા રસ્તા બનાવવા માટે રાજી થાય છે? એનો જવાબ કોણ આપે? RTI લાગુ પાડવાથી કાઈ થાય નહિ, જ્યાં સુધી એવા લોકોને સજા ના થાય જે પ્રજાના પૈસાનો ધૂમાડો કરે છે.

દેશભક્તિ એ તહેવાર નથી.. એ લાગણી છે... એક ખુમારી છે... એક એવું તીજોરમાં મૂકેલું ઘરેણું જેની કીમત ખૂદ આપણી જ નીતિઓ અને કર્મો રૂપી કાટથી સતત ઘટતી રહે છે...આવું ઘરેણું રોજ પહેરો તો જ એનો મતલબ છે... ખાલી sms કે email કરવાથી કાઈ ન થાય. કોઈ કહે છે કે અમેરિકાને વિકાસ પામતા ૨૦૦ વર્ષ થયા અને આપણે ૬૦ વર્ષ જ! પણ હું કહું છું છે આપણામાં કાઈ વિકાસ? ઘરડાઓ તો એમ કહે છે કે આના કરતા અંગ્રેજો સારા હતા, સોટી મારીને વાત પતી તો જતી હતી! સાવ આવી રીતે તો લોકોને રંજાડાતા નહોતા.

આ વાતોનો કોઈ અંત જ નથી મિત્રો, એટલે અહીં જ અટકું છું. ફરી કંઈક યાદ આવશે તો આમાં ઉમેર કરીશ જ...પણ તમારી મદદ જોઈશે... આગળ વધવા માટે મદદ તો જોઈએ જ ને, એકલાથી કાઈ ન થાય...
સાથે સાથે, આઝાદીના દિન નિમિતે બનાવેલી તસ્વીર અહી રજૂ કરી છે...

Wednesday, August 18, 2010

ધર્મેન્દ્રની બે માર્મિક ફિલ્મો: क्रोधी અને दोस्त...

આજે ધર્મેન્દ્રની ફિલ્મ ક્રોધી જોઈ.આ ફિલ્મની વાર્તા ખૂબ મજબૂત છે અને ધર્મેન્દ્રનો અભિનય તો ધારદાર...એમાં એક એવા ગુસ્સા વાળા માણસની વાત છે જે ક્રોધ આવતા જ પોતાનું ભાન ભૂલીને કઈ પણ કરી બેસે છે. કેવી રીતે ક્રોધ એણે અવળા રસ્તે લઇ જઈ એક મોટો ગુનેગાર બનાવી દે છે જેનાથી આખા શહેરના લોકો ડરે છે..અને છેવટે નસીબ એણે ફરી સારા રસ્તે લઇ જાય છે... ત્યારે એ પોતાની હિમ્મત અને સચ્ચાઈથી લોકોનું ભલું કરે છે...અને અંતે એનું પોત એની જિંદગીથી પણ સારું બને છે...લોકો એણે પ્રેમ કરતા થઇ જાય છે, એનાં માટે જીવ દેવા તૈયાર થઇ જાય છે...

ડોન અને સ્મગલરના રોલમાં ધર્મેન્દ્ર અમિતાભ કરતા પણ ચડી જાય છે આ ફિલ્મમાં. એનો ઘેરો અને પહાડી અવાજ જાણે એમાં મદદરૂપ છે...અને એની અભિનય ક્ષમતા છાતી થાય છે... ખરેખર, આ ફિલ્મ જોઈએ તમે કદાચ અમિતાભની ડોન પણ ભૂલી જશો... અને પછી જયારે એનું હૃદય પરિવર્તન થાય અને એ સાધુ બને છે ત્યારે તો જે વ્યક્તિત્વ અને ચહેરાના ભાવો જોવા મળે છે તે ખરેખર આપણે ચકિત કરી દે તેવા છે...



દોસ્ત ફિલ્મ પણ ખૂબ સરસ છે.. એમાં એક એવા અનાથ માણસની વાત છે જે એક પાદરી જોડે ઉછરે છે અને ખૂબ સંસ્કારી બને છે...એણે લોકોનું ભલું કરવા સિવાય કઈ દેખાતું જ નથી...પછી એનો ભેટો એક ચોર (શત્રુઘ્ન સિંહા) જોડે થાય છે... તે એવું વિચારે છે કે ચોરને હું પોલીસમાં પકડાવવાને બદલે સુધારી દઉં...અને ચોર એવું વિચારે છે કે આ માણસને હું મારા ધંધામાં મેળવી દઉં તો મારો ફાયદો છે! અને છેવટે તેની જીત થાય છે ... ચોર સુધરીને જીદંગીને સમજતો એક સારો માણસ બની જાય છે...

એમાં પણ ધર્મેન્દ્ર એક સરળ માણસના વેશમાં અનોખી આભા ઉભી કરે છે...અને ધારદાર અભિનયથી આપણને મુગ્ધ કરી દે છે...શત્રુઘ્ન એની સામે એવો જ વિપરીત, ચોરનો અભિનય કરે છે... બંને સારા મીઉત્રો બની જાય છે અને અંતે ચોર સુધરી જાય છે... કેવો સરસ મજાનો સંદેશ આપે છે અહી... 

આ બંને ફિલ્મો ખૂબ સરસ કથાનક અને પાત્રો ધરાવે છે.. અને દર્શકોને ખરા અર્થમાં સારી ફિલ્મની મજા આપે છે..આજે ક્યા બને છે આવી ફિલ્મો, જેમાં અશ્લીલતા રહિત અને કુટુંબ સાથે જોઈ શકાય એવી સારી વાત હોય! આના સિવાય પણ ઘણી જૂની ફિલ્મો ખૂબ સારી હોય છે... યાદ આવશે તેમ અહી રજૂ કરતો રહીશ...