Showing posts with label લોકકથા. Show all posts
Showing posts with label લોકકથા. Show all posts

Tuesday, January 8, 2013

ગુજરાતનો ઇતિહાસ - ધૂમકેતુની "ચૌલુક્ય નવલકથાવલિ"...

ગરવી ગુજરાત વિશેની ઐતિહાસીક પુસ્તકો ફંફોળતા પહેલી જ વખતે ધૂમકેતુનુ પુસ્તક હાથ લાગ્યુ, અને થયુ કે એમા સોલંકી કુળનો ઈતિહાસ છેક ૭-૮મી સદીથી જોવા મળૅ છે.  પછી તો એક પછી એક એમના પુસ્તકો વાંચવા શરુ કર્યા બાદ, થયુ કે એનો સાર અને પુસ્તક વિશે Review લખવો જેથી વાચકમિત્રોને પણ એક નવુ સારુ વાચન ધ્યાનમા આવે.

તેમનુ લખાણ આપણને દશ્યની છેક અંદર ડોકિયુ અને ઘટનાની રુબરુ ઝાંખી કરાવનારુ બની રહે છે. વાચકો તેને અંતરથી અનુભવી રહે અને પોતે નજરો નજર નીહાળી રહે, તેની પૂરતી કાળજી રાખીને તેમણે એક એક દશ્યનુ લેખન કર્યુ છે. પછી એ પાટણ નગરી હોય, ધારા નગરી હોય કે ભોજરાજની 'સરસ્વતીકંઠાભરણ' ની સભા હોય, આપણને સ્વપ્નમાથી જીવંત થઈને નજર સમષ ઊભી રહેલી જ દેખાય.
ધૂમકેતુ ચૌલુક્ય નવલકથાવલિમા સમાવિષ્ટ થતા પુસ્તકો નીચે પ્રમાણે છે.

૧. પરાધીન ગુજરાત
૨,3. મૂલરાજદેવ - અને
૪. વાચિનીદેવી
૫. અજિત ભીમદેવ
૬. ચૌલાદેવી
૭. રાજસંન્યાસી
૮. કર્ણાવતી
૯. રાજકન્યા
૧૦. બર્બરકજિષ્ણુ સિદ્ધરાજ જયસિંહ
૧૧. ત્રિભુવનગંડ સિદ્ધરાજ જયસિંહ
૧૨. અવંતીનાથ સિદ્ધરાજ જયસિંહ
૧૩. ગુર્જરેશ્વર કુમારપાળ
14. રાજર્ષિ કુમારપાળ 
15. નાયિકાદેવી 
16. રાય કરણ'ઘેલો 

૧. પરાધીન ગુજરાત
૭-૮મી સદીમા ગુજરાતના પંચાસરનો રાજા જયશિખરિ, યુદ્ધમા પડે છે અને ગુજરાત પર દક્ષિણના રાજાનો રાજ જમાવે છે. એ વખતે રાજાના રખેવાળો અને સેનાપતિઓ કોઇ રીતે રાજકુમાર વનરાજ ચાવડાને બચાવે છે અને કેવી રીતે વનરાજ ચાવડો જંગલમા રખડીને પણ પોતાનુ રાજ પાછુ મેળવે છે એની વાત છે. એનો ખાસ મિત્ર, અને રાજમાતાની અંગત નારીદળની સેનાપતીનો પુત્ર અણહિલ (જે 'અણહિલ ભરવાડ' ને નામે પ્રચલીત થાય છે, ખરેખર રાજ્પૂત જ હોય છે). વનરાજ યુદ્ધ જીત્યા પછી પોતાના નહિ પણ અણહિલના નામે સરસ્વતી નદીને કાંઠે એક નગર વસાવે છે, જેને "અણહિલપૂર પાટણ" એવુ નામ અપાય છે.

૨,3. મૂલરાજદેવ - અને
ચાવડા વંશજ વીર ચાપોત્કટ (ચાપ+ઊત્કટ=ધનુર્વિધ્યામા નીપુણ, ચાવડા બાણાવળી કહેવાતા..), તેનો ભાણેજ એ મૂલરાજ સોલંકી જે મામાને ત્યા રહીને ઉછરે છે. મામો પાટણનુ રાજ તો ચલાવે છે, પણ રાજા તરીકે પોતાની ફરજો પ્રત્યે સભાન નથી. મૂલરાજ્દેવ મામા સામે યુદ્ધ કરી અને પ્રજાને ખાતર તેનો વધ કરીને પાટણનુ રાજ પોતે લે છે અને પાટણને સમર્થ બનવવા પ્રયત્નો કરે છે. નડૂલની રાજકુમારી માધવી, ખેરાલુનો રાણો જેહુલ અને બીજા પાટણપ્રેમી ચાવડાઓ તેને સાથ આપે છે. તે માધવી સાથે લગ્ન કરે છે.

પાટણનુ નવુ-સવુ રાજ્ય, એનો નાનો એવો વિસ્તાર પણ મૂલરાજદેવ ખૂબ મહત્વાકાંક્ષી હોય છે. તેને હરાવવા તૈયાર બેઠેલા કચ્છનો લાખો ફુલાણી અને જુનાગઢ્નો ગ્રાહરિપુ (તે વખતનો જુનાગઢ્નો રા'). મૂલરાજદેવ સાહસ પર સાહસ કરે છે, સાંભરરાજને તત્કાલિક પોતાની મુત્સદીગીરી અને સાહસિકતાથી મનાવી, તે યુધ્ધ પાછુ ઠેલી એકીસાથે ફુલાણી અને ગ્રાહરિપુ (જે બન્ને એકબીજાના ખાસ મિત્રો હોય છે અને યુધ્ધના જ શોખીન હોય છે.) સાથે દ્વંદયુધ્ધ કરે છે. બન્નેને હરાવે છે, ફુલાણીને હણે છે અને રા' ને વશ કરે છે. 

તેનો પાટવી ચામુંડરાજ, જે ગજશાસ્ત્રનિપુણ છે, યુધ્ધમા અદભૂત શૌર્ય બતાવે છે. એ સાથે જ પાટણનુ મહત્વ, જવાબદારી અને દુશ્મનો વધે છે. વિસ્તારની સાથે સાથે પાટણને કુનેહ પણ રાખવી પડે છે કારણ કે હજુ તો માંડ પહેલુ પગલુ, જ્યા એ કોઇ મોટા રાજ્ય સાથે યુધ્ધ વિચારી જ ન શકે.

મૂલરાજ સિધ્ધ્પુરમા રુદ્ર્મહાલય બંધાવે છે અને અંતે મૂલરાજદેવને પોતાના મામાની હત્યા દેખાતા પ્રાયશ્ચિત સ્વરૂપે અગ્નિસ્નાન (દર્ભાસન પર બેસી ઘી થી સ્નાન કરી પધ્માસનમા બેસીને પગના અંગુઠેથી અગ્નિને પ્રવેશ કરાવે) કરે છે.

૪. વાચિનીદેવી
વાચિનીદેવી અને ચામુંડરાજ, મૂલરાજદેવના બે સંતાનો છે. અહી કેવી રીતે વાચિની પોતાના ભાઈને પાટણની પ્રજા અને મહત્તા ખાતર એક નર્તિકાની પાછળ ન પડીને રાજકાજમા ધ્યાન આપવા સમજાવે છે. છેવટે, તેના સઘળા પ્રયત્નો વ્યર્થ જતા તે ચામુંડને પદભ્રષ્ટ કરી, ભત્રિજા દુર્લભરાજને રાજ સોંપે છે તેની વાત છે. તે બતાવે છે કે રાજનીતીને ખાતર સંબંધો પણ ભૂલવા તે તૈયાર છે અને પાટણથી ઉપર કોઇ નથી.  

અહી નાગદેવ, યોગરાજ અને દુર્લભરાજ ચામુંડના ત્રણ પુત્રોનો પ્રવેશ થાય છે, નાગદેવનો પુત્ર જ ભીમદેવ જે ખૂબ સાહસીક છે. પાટણના ભવિષ્યના અમાત્ય દામોદર પણ અહી જ સોમનાથથી પાટણમા આવીને પોતાનુ મહત્વ વધારે છે, પાટણ અને એની પ્રજા માટે જ નહી કે પોતાના અંગત સ્વાર્થ માટે.

૫. અજિત ભીમદેવ
દુર્લભરાજ સન્યસ્ત લે છે, ભીમદેવ ગાદી પર આવે છે. પણ એ સાહસીક ભીમદેવના માથે કાળી ટીલી જેવો આઘાત થાય છે જ્યારે મહમ્મુદ ગઝની ગુજરાત પર યુધ્ધ લાવે છે. ભીમદેવ સોમનાથમા નીડર બનીને યુધ્ધ આપે છે,પણ વિધાતાની રીત કે તેને પોતાના લોકોને બચાવવા અને ફરી પાટણને સમર્થ કરવા પોતાની ઈચ્છા વિરુધ્ધ સંતાવુ પડે છે.આસપાસના રાજ્યો-માળવા, લાટ(ભરુચ પછીનુ ગુજરાત), અર્બુદમંડ્લ (આબુ), શાકંભરી વગેરેથી સંભાળીને ભીમદેવ ગઝનીને હંફાવવાનુ નક્કી કરે છે

૬. ચૌલાદેવી
પાટણનો રાજા ભીમદેવ, ગઝનીને હંફાવી પોતાનુ સ્થાન મજબૂત કરવાની તૈયારીઓ કરે છે. તેનો મંત્રી દામોદર કુનેહથી પાટણને આગળ વધારવાના રસ્તાઓ શોધે છે, માળવાના ભોજરાજને હંફાવવા માટે યુક્તિઓ બનાવે છે. આબુ, નડૂલ અને લાટને વશમા કરે છે.  ભીમદેવ ચૌલાદેવી નામની નર્તિકાના પ્રેમમા છે અને દામોદરે એને રા' ની દીકરી ઉદયમતી સાથે પરણાવે છે. ભીમદેવ ચૌલાને મહારાણી બનાવે છે પણ ચૌલા પાટણ માટે પોતાના વારસો ગાદી નહી સ્વીકારે એવુ વચન આપે છે. એ ચૌલા પાટણ માટે મોટુ બલિદાન આપે છે એ વાત બહુ ઉંડાણથી વણી લેવાઈ છે.

૭. રાજસંન્યાસી
ભીમદેવના કાકા, દુર્લભરાજનો સહારો લઈને ગઝનીને ભોળવી તેને પાછો વાળવા ભોમિયા આપે છે જે ખોટા રસ્તે લઈ જાય છે. ભોમિયાઓ ગુજરાતને માટે મરી ફીટે છે અને ભીમદેવ ગઝનીના સૈન્યને હંફાવે છે. ગઝનીના ગુજરાતમા કાયમી પોતાનુ થાણુ અને ખંડિયુ બનાવતા અટકાવે છે ત્યારે ભીમદેવનો જયજયકાર થઈ રહે છે. દામોદર ચેદિ સાથે સંધી કરે છે અને માળવાને એ બધાના સાથથી હરાવે છે. ચેદિથી ડર્યા વગર એ તેમા પોતાનુ અને પાટણનુ મહત્વ સ્થપિત કરે છે.

૮. કર્ણાવતી
ચૌલ્ક્ય પરંપરા મુજબ ભીમદેવ સન્યસ્ત લે છે. તેની પાછળ દામોદર પણ સન્યસ્ત લઈ અને બધો કારભાર સાંતુ મહેતાને આપવાનુ નક્કિ કરે છે. પણ જતા પહેલા તે રાજસિંહાસનનો વારસ નક્કી કરે છે. ભીમદેવના બે પુત્રો, ઉદયમતીનો કર્ણદેવ અને ચૌલાદેવીનો ક્ષેમરાજ. ભીમદેવ ક્ષેમરાજને પરંપરા મુજબ રાજ આપે છે પણ ઉદયમતી પોતાના પુત્રને રાજા ઝંખે છે. કર્ણદેવ મોટાભાઈને જ રાજ આપવા કહે છે, પણ ક્ષેમરાજ પોતાના મા-વિહોણા પુત્ર દેવપ્રસાદને મુકીને સન્યસ્ત લે છે. અંતે દામોદર વિદાય લે છે અને સાંતુ મહેતા અમાત્યપદ સ્વિકારે છે. કર્ણદેવ રાજા બને છે અને કર્ણાવતી નગરીના બીજ રોપાય છે. તે વખતે આશાભીલનો ત્રાસ વધતો જાય છે,છેક સ્તંભતીર્થના (ખંભાત) દરિયાથી લઈ, સાબરમતીના જંગલો સુધી તેનો ત્રાસ રહે છે.

૯. રાજકન્યા
કર્ણદેવ પાટણનો રાજા છે. લાટ, માળવા અને કર્ણાટકનુ ભડકેલુ જણાય છે. સાંતુના ધ્યાનમા ગોપકપટ્ટનની (ગોવા) કુમારી (મિનળદેવી) આવે છે, જે કર્ણાટકના મંડલેશ્વર છે. સાંતુ પોતાના માણસોને ત્યા મોકલે છે અને મીનળદેવીને કર્ણદેવ અને ગુજરાત વિશે વિચારવા પ્રેરિત કરે છે. સોમનાથ પ્રત્યેની ભક્તી અને કર્ણદેવને મનથી વરી ચુકેલી મીનળ પાટણ આવે છે. તેને જોતા કર્ણદેવનુ મન દુભાય છે અને લગ્ન કરવાની ના પાડે છે. છેવટે બન્નેના લગ્ન થાય છે પણ કર્ણદેવ મીનળને બદલે નર્તિકામા પ્રેમ રાખે છે. કર્ણદેવ આશાભીલને નાથવા જાય છે પણ આશો ભાગી જાય છે, દેવપ્રસાદ કર્ણદેવનો ખડેપગે પ્રતિહારિ રહે છે. અંતે, કર્ણદેવ અને મીનળનુ મિલન થાય છે અને તેમને ત્યા ચક્રવર્તિ પુત્ર જન્મની આગાહી  સાચી પડવાની રાહ જોવાય છે.

૧૦. બર્બરકજિષ્ણુ સિદ્ધરાજ જયસિંહ
કર્ણદેવ અને મીનળનો પુત્ર સિધ્ધરાજ જયસિંહ ગાદી પર આવે છે. કર્ણદેવે કર્ણાવતી નગરની (હાલનુ અમદાવાદ)સ્થાપના કરી દીધી છે, જ્યા પહેલા આશાભીલનુ નગર હતુ ત્યા સાબરમતીને કિનારે. તે વખતે બર્બરક પોતાનો આતંક મચાવી રહ્યો છે. જુનાગઢનો રા' નવઘણ અને બર્બરક મળેલા હોય છે અને પાટણની વિરુધ્ધ ષડયંત્ર રચીને જયસિંહને હરાવવા ઈચ્છે છે. જયસિંહની દાદી, રાણી ઉદયમતીનો ભાઈ મદનપાલ બર્બરક સાથે મળેલો છે તે ખબર પડતા જયસિંહ મદનપાલને જનોઈવઢ કાપી નાખે છે અને એનો અંત આણે છે. આ વાત જાણતા નવઘણ આકળો થઈ જાય છે અને પાટણની વિરુધ્ધ પડે છે. જયસિંહ સાંતુ, મીનળ અને મંત્રીમંડળની સમજાવટ છતાં પોતાનો માર્ગ સ્પષ્ટ બતાવે છે કે તે જુનાગઢ, લાટ, માળવા કોઇથી ડરશે નહી અને સદા યુધ્ધ માટે તૈયાર છે.  જયસિંહ પાટણથી ભાગી રહેલા નવઘણને પકડે છે અને તેને બંધનમા મુકી દે છે, પણ તે જેમ-તેમ કરીને ભાગી જાય છે પણ પકડાઈ જાય છે.

તે દરમિયાન, બર્બરકની મેલી વિધ્યા વિશે સાંભળીને જગદેવ પરમાર મદદે આવે છે જે મહકાલીની ઉપાસનાથી 'અજિત્તાસિધ્ધી કંકણ' મેળવે છે જે જયસિંહ નજરોનજર નિહાળે છે. 'અજિત્તાકંકણ સિધ્ધી'ની ઉપાસના નજરે જોનાર પણ અજેય થઈ જાય છે એ જયસિંહ જાણે છે. બર્બરક સામે મલ્લ્યુદ્ધ કરીને જયસિંહ બર્બરકને વશ કરે છે અને તેનો વધ ન કરતા તેની પાસેથી આજીવન પોતાનો મદદગારને અનુચર બનવાનુ પાણિ લેવડાવે છે. ત્યારથી જયસિંહ 'બર્બરકજિષ્ણુ' ની ઉપમા પામે છે.

નવઘણનો દીકરો, રા' ખેંગાર પ્રતિજ્ઞા કરે છે  કે તે ચાર પ્રતિજ્ઞા પાળશે,
- પાટણનુ નાક કાપશે
- ભોયરાનો ગઢ ભાગશે.
- પાટણનો દરવાજો તોડશે
- મહીડાને મારશે.
ખેંગાર આ ચારેય પ્રતિજ્ઞા પૂરી કરે છે અને દેવડાની પુત્રી દેવડી, સોનલ દે, ને ભગાડી જાય છે. આ દેવડીને જયસિંહ પણ ઝંખતો હોય છે. દેવડી જુનાગઢ્ના રાણક સાથે રાણકની રાણી 'રાણક દેવી' બને છે. અને અહીંથી યુધ્ધની રણભેરી વાગે છે.

૧૧. ત્રિભુવનગંડ સિદ્ધરાજ જયસિંહ
સિધ્ધરાજ જયસિંહ ખેંગાર સામે જુનાગઢ યુદ્ધ લઈને જાય છે, એની વિશાળ સેના સામે કોઇ ટકી શકે તેમ નથી પણ જુનાગઢનો અજીત દુર્ગ વર્ષો સુધી ટકી શકે છે એ તેને ખબર પડતા સમય લાગે છે. સોમનાથની સાક્ષીએ એ પ્રજામા રહેલો રા' પ્રત્યેનો પ્રેમ અને વિશ્વાસ નિહાળે છે, પોતે રા' ને સમજાવે છે પણ રા' માને એવો નથી. રા' ની બહેન લીલી બા અને ભાણેજ પર સિધ્ધરાજ જયસિંહ અને મુંજાલ મહેતાની નજર છે.

રા' ને તો કોઈ વસ્તુનો ભય નથી એ એને સમજાય છે એટ્લે એ ખેંગારના ભાણેજ દેશળ-વિશળ ને સામ-દામથી વશ કરી દુર્ગમા દાખલ થવાનો માર્ગ ગોતાવી લે છે. જુનાગઢના અજેય દુર્ગને આ ભારે પડી જાય છે અને સિધ્ધરાજ જયસિંહ દુર્ગમા પ્રવેશી ખેંગારને દ્વંદયુધ્ધ આપે છે. ખેંગાર હારી જાય છે અને સિધ્ધરાજ જયસિંહ એને બંધક બનાવે છે.

સિધ્ધરાજ જયસિંહ રાણકદેવીને પાટણ લઈ જવાનુ ગોઠવે છે, પણ રાણકદેવી વગર રા' દેહ છોડે છે. તે સિધ્ધરાજ જયસિંહને પણ ગમતુ નથી, અને રા' ની પાછળ રાણકદેવી સતી થાય છે.

૧૨. અવંતીનાથ સિદ્ધરાજ જયસિંહ
સિધ્ધરાજ જયસિંહ હવે 'બર્બરકજિષ્ણુ' અને 'ત્રિભુવનગંડ' કહેવાયો છે, અને હવે તે પોતે અવંતિનાથ થવાના સ્વપ્ન જોઈ રહ્યો છે. અહી હવે બે પ્રશ્નો ઉભા છે,
- સિધ્ધરાજ જયસિંહનો વારસ કોણ, કોણ આ મહાન પરંપરા અને પાટણના રાજ્યને સંભાળી શક્શે?
- અવંતિને (માળવા) કેવી રીતે હરાવવુ?

ઉત્તરાધીકારી તરીકે સિધ્ધરાજ જયસિંહનો ભત્રીજો કુમારપાળ (ભીમદેવની બીજી રાણી ચૌલાદેવીનો પુત્ર ક્ષેમરાજ, તેનો દેવપ્રસાદ, તેનો ત્રિભુવનપાલ અને તેનો કુમારપાળ) જ છે અને સિધ્ધરાજ જયસિંહને પોતે પુત્ર જ નથી. સિધ્ધરાજ જયસિંહની પુત્રી કાંચનદેવી અજમેરના આનકરાજ સાથે પરણી છે, તેનો પુત્ર સોમેશ્વર ચૌહાણ (પ્રુથ્વીરાજ ચૌહાણ તે આ સોમેશ્વરનો પુત્ર છે.) અને કુમારપાળ બે વચ્ચે ગાદીનો પ્રશ્ન છે. 

આનકરાજ પાટણ પોતાના પુત્રને મળે તેવી ઈચ્છા ધરાવે છે અને ઉદયન મહેતા, કાક ભટ્ટ, ક્રુષ્ણરાજ વગેરે કુમારપાળના પક્ષના. ત્યા વળી ત્રિજો જણ નિક્ળ્યો, સિધ્ધરાજ જયસિંહના ભુવનેશ્વરી નામની એક નર્તિકા સાથેના સંબંધ તરીકે તેનો પુત્ર ચારુભટ્ટ (ત્યાગભટ્ટ પણ કહેવાય છે) જે ગજશાસ્ત્રમા નિપુણ છે.

સિધ્ધરાજ જયસિંહ ત્યાગભટ્ટ સાથે કાંતિનગરી જઈ માળવાનો દક્ષિણી દરવાજો તોડવા માટે વિશાળકાય હાથી લઈ આવે છે, ત્રણ હજાર હાથીઓમાથી ત્યાગભટ્ટ શ્રેષ્ઠ હાથીને પસંદ કરી લે છે અને તેના સહારે અવંતીનો દ્વાર તોડે છે. ઘોર યુધ્ધ થાય છે, સોલંકી અને પરમાર યોધ્ધાઓ શોણિતભીના શરીરમા થતા દુખ ભૂલીને અંતિમપળ સુધી લડે છે પણ અવંતિવિજય કરીને સિધ્ધરાજ જયસિંહ પાટણ પાછો ફરે છે, અવંતીના રાજા યશોવર્મા અને તેના પુત્ર જયવર્માને કેદ કરી સાથે લાવે છે.

કુમારપાળ ભાગતો ફરે છે કારણકે કાકા સિધ્ધરાજ જયસિંહને તે ભાવતો જ નથી. હજુ પણ ઉત્તરાધીકારીનો પ્રશ્ન તો એમ નો એમ જ છે, કારણ કે રાણી લક્ષ્મીદેવી ત્યાગભટ્ટ્ની વાત ઉદયન મહેતા દ્વારા જાણે છે અને તેનો વિરોધ કરે છે. હજુ તેને અને સિધ્ધરાજ જયસિંહને આશા છે કે સોમનાથ ભગવાનની ક્રુપાથી તેમને ત્યાં પણ પુત્ર થશે જ...

૧૩. ગુર્જરેશ્વર કુમારપાળ
સિદ્ધરાજ જયસિંહ મૃત્યુ પામે છે...રાજાના મૃત્યુથી શોકગ્રસ્ત અને નિસહાય-નિરાધાર, કદાચ અનાથ કહો તો પણ અતિશયોક્તિ નથી, થયેલી પાટણ નગરી અને એના પ્રજાજનો નજર સમક્ષ ઉભા રહે છે. સાથે જ એ ચિંતા પણ છે કે સિદ્ધરાજ જયસિંહ જેવા, સાક્ષાત વીર વિક્રમના બીજા અવતાર સમા મહાન, રજાનો વારસો કોણ આગળ વધારશે અને કોણ આ મહાન ગુર્જરદેશને આસપાસના રાજ્યોથી રક્ષણ આપીને ટકાવી શકશે?

સિદ્ધરાજ જયસિંહના વારસદારોમાં ત્રિભુવનપાલના ત્રણ પુત્રો, યશપાલ-મહિપાલ અને કુમારપાળ, સિદ્ધરાજ જયસિંહનો પ્રપન્ન પુત્ર ત્યાગ્ભટ્ટ, સિદ્ધરાજ જયસિંહની પુત્રી કાંચનદેવીનો પુત્ર સોમેશ્વર ચૌહાણ છે.

સિદ્ધરાજ જયસિંહના મૃત્યુ પછી એમની પાદુકાઓ સિંહાસન પર મુકેલી છે અને નવો વારસ નક્કી કરવા રાજ્સભાનું આહવાન થાય છે. કુમારપાળને રોકવાના અથાક પ્રયત્નો છતા કુમારપાળ ત્યાં આવે છે અને ઉદયનની મદદથી રાજા બને છે.

આનક રાજ સામે યુદ્ધ થાય છે એમાં કુમારપાળ વિજેતા થાય છે. અજમેર હારે છે અને પાટણ જીતે છે. આનક રાજની પુત્રી જલ્હણા સાથે કુમારપાળના બીજા લગ્ન થાય છે અને પાટણની સત્તા મજબૂત બને છે, સ્થિર રહીને કુમારપાળ એને આગળ ધપાવશે એવી પટ્ટણીઓને ખાતરી થાય છે.

14. રાજર્ષિ કુમારપાળ
કુમારપાળ પાટણમાં રાજય કરે છે. પણ તેના ભત્રીજા અજયપાલ સાથે આંતરિક ઘર્ષણને લીધે પાટણમાં એક જાતની ભયંકર પરિસ્થિતિ ઉભી થાય છે જેનો લાભ દુશ્મનો કોઈ પણ ક્ષણે ઉઠાવી શકે છે. અહી ઉદા મેહતા કુમારપાળને મદદ કરે છે અને ઘર્ષણ અટકવાના બધા ઉપાયો કરે છે.

અહી જ ગુરુ હેમચંદ્રાચાર્યનો પ્રવેશ થાય છે. મંત્રી અને શ્રેષ્ઠીઓનો આગ્રહ રાજા અમારિ (પશુ પક્ષીઓનો વધ, મધ્ય-માંસ વગેરે અટકાવવું) ઘોષણા કરે એવો છે અને એ રીતે જૈન ધર્મ પ્રબળ બને એમ તેઓ ધારે છે, પણ ગુરુ એમ થતું અટકાવે છે અને ધીરે ધીરે લોકોના મન-મસ્તિષ્કને સમજાવે છે. અહી કુમારપાલના બે ધર્મો વચ્ચે પોતાના રાજ્ય અને પ્રજાની સુખાકારી માટે, પાટણ ટકે એ માટેનાં પ્રયત્નો ખુબ સરળતાથી સમજાય છે.

છેવટે રાજા દોહિત્ર પ્રતાપમલ્લ, જે રાજા થવા નથી ઈચ્છતો, એની બદલે ભત્રીજા અજયપાલને જ રાજ સોંપવાની વાત વિચારે છે.

15.નાયિકાદેવી 
કુમારપાળનો ભત્રીજો અજયપાલ રાજા બને છે. અહી એ સ્પષ્ટ નથી કે કુમારપાળ કેવી રીતે મૃત્યુ પામે છે, પણ એવું જણાય છે કે  અજયપાલે તેને હણ્યો હશે કારણકે કુમારપાળ જૈન ધર્મ માટે થઇને પાટણમાં ફેરફારો કરે છે જે આપણે આગળ જોયું.

કુમારપાળના મૃત્યુનો બદલો લેવા તેના સેવકો અજયપાલને હણી નાખે છે. અજયપાલના બે પુત્રો, મૂળરાજ અને ભીમદેવ, વ્યાકુળ થઇ ઉઠે છે. ભીમદેવ પિતાનો બદલો લેવા કઈ પણ કરવા તૈયાર છે પણ નાયીકાદેવી તેને સમજાવે છે, રોકે છે અને પાટણની દોર પોતાના હાથમાં લે છે.

તે સમયે પાટણના સામંતો અને માંડલીકો ફાયદો ઉઠાવવા તૈયાર છે, પણ નાયીકાદેવી રાજનીતિ જાણે છે માટે કોઈ ચસકી શકતા નથી.

અચાનક, મુલતાનથી ગર્જનક (શાહબુદ્દીન ઘોરી) આવી રહ્યો છે એવા સમાચાર મળે છે અને ગુજરાતના ગુપ્તચરો એની ખબર કાઢવા ચાલી નીકળે છે. અજમેર જઈને તેઓ ગર્જનકની ખબર આપે છે અને એનો રસ્તો કયો છે તેની ભાળ મેળવી લે છે. પાટણનો ભીમદેવ અને અજમેરનો પૃથ્વીરાજ ગર્જ્નક સામે લડવા તૈયાર છે.

નાયીકાદેવી પોતે પાટણના સૈન્યને યુદ્ધમાં દોરે છે, ગર્જ્નક સામે ભયાનક યુદ્ધ થાય છે. પૂરતી તૈયારી અને સાહસી સેનાના ભયંકર આક્રમણથી ગર્જ્નાકની સેના હારી જાય છે અને ભાગે છે.

છેવટે નાયીકાદેવી વિચાર કરે છે, કે તેના પછી તેના પુત્રોની જોડે કોણ ઉભું રે'શે? કોણ પાટણની દેખભાળ કરી શકે એવું છે અને કોણ આવડું મોટું રાજ્ય સાચવીને રક્ષણ કરશે? કોણ ભારતવર્ષની આ સરહદનો પેહરેગીર બનશે અને ગુજરાત દેશનો સીમાડો સાચવશે? મૂળરાજ બીમાર છે અને ભીમદેવ જ રાજા બનશે, પણ ભીમદેવની રણઘેલી યોધ્ધાની મહત્વાકાંક્ષા પાટણને ક્યાં સુધી સાચવી શકશે એ ચિંતા એના મનમાં ઘર કરી ગઈ છે, એ રાજનીતિમાં કેવી રીતે ટકશે એ પ્રશ્ન એને સતાવે રાખે છે.

16. રાય કરણ'ઘેલો

Sunday, July 25, 2010

પાપ-પુણ્ય – ભક્તિ એ ખાંડાની ધાર...

ડાયરાનાં મોઢે સાંભળેલી આ વાત, સૌરાષ્ટ્રની સત્ય ઘટના છે મારા દોસ્તો...

કે એક માણસ હતો, ખૂબ તાકાતવાળો મર્દ મૂછાળો..તલવારની ધારનો ઉપયોગ કરતા પાછો નો પડે કદી. ચોરી લૂંટફાટ કે પોતાની આન-આબરૂ કે પછી મોભા માટે થઈને કોઈ કારણસર તેનાથી નવાણું ખૂન થઇ ગયા. ત્યાં સુધી તેને ભાન નો’તું કે શું બની ર’યું છે..

અચાનક તેને થયું કે આટઆટલાં પાપ શા માટે કર્યાં? એવું તે શું કારણ કે મારે આટલી બધી હત્યાઓ કરવી પડી? તેને પોતાની જાત પ્રત્યે ધૃણા પેદા થઇ ગઈ અને તે સત્યની ખોજમાં, પોતાના પાપોનું પ્રાયશ્ચિત કરવા માટે નીકળી પડ્યો. 

તેની તલવાર હવે મ્યાન થઇ ચુકી હતી. તેના મોઢા પર કોઈ ભાવ નો’તા. તેને ભૂખ-તરસનું ભાન નો’તું.મનમાં હતું તો બસ એક જ ધ્યાન, કે બસ હવે બહુ થયું. બસ તેના પગ હાલી રહ્યાં હતા, એ આશાએ કે કોઈ મળશે એને જે સત્યનો માર્ગ બતાવશે અને તેને જીવનના મૂળ હેતુથી પરિચિત કરાવશે.

હાલતો હાલતો એક દરગાહ આગળ પહોંચ્યો. ત્યાં એક ફકીર બેઠો હતો અને ખુદાની બંદગી કરી રહ્યો હતો. ફકીરના મોઢા પર બસ એક જ ભાવ હતો, દયાનો...! એનું સઘળું યે ધ્યાન બસ અલ્લાહ-ખુદા-ઉપરવાળાની સામે જ હતું. એની ભક્તિમાં એ લીન હતો. એના મેલાં કપડાં, વધેલી અને ગંદી દાઢી અને ચીંથરા જેવા વાળ.. પણ એને ક્યાં કોઈની પડી હતી! એ તો બસ પોતાના ભગવાનમાં મગ્ન હતો.

ફકીરે એને જોયો, અને એના ભાવહીન ચેહરાને જોઈને એની માનસિક સ્થિતિનો તાગ એને આવી ગયો. 

ફકીરને એણે પૂછ્યું કે,”મારાથી નવાણું ખૂન થઇ ગયાં છે અને હું એને ધોવા ચાહું છું. એનું પ્રાયશ્ચિત કરીને કબૂલ કરવા માંગુ છું.” 

ફકીરે એને કહ્યું,”અહી રોકાઈ જા, સેવા-બંદગી કર. સાફસૂફી કરજે અને નજીકમાંથી જરૂર પૂરતી ભિક્ષા માંગી લાવજે. એમાંથી આપણે બંને નિર્વાહ કરી લેશું.તારા પાપ ધોવાની જવાબદારી મારી.ઉપરવાળો બધાની સાંભળે છે. એ તો સૌથી મોટો યે છે અને સૌથી નાનો યે. એ તો બસ તમારી પરીક્ષા લીધે રાખે. હું કહું એમ કરતો જા, એક દી બધું હારું થઇ જાશે!”

રોજ સવારે એ માણસ ઉઠે અને સૌથી પહેલા ફકીરને એક જ સવાલ પૂછે રાખે, “મારા નવાણું પાપ ધોવાઈ ગયાં?” રોજ ફકીર એને જવાબ દે,” બેટા હજુ વાર છે,બધું સારું થઇ જાશે”. આ જ ક્રમ નિત્ય ચાલતો રહે. ના તે થાકે અને ના એના એ જ પ્રશ્નનો જવાબ આપતા ફકીર! આવું તો વર્ષો સુધી ચાલ્યું.

એક દિવસ ફકીરને એને એ જ સવાલ પૂછ્યો, ત્યારે ફકીરે એને કહ્યું,
“બેટા, હવે તું તારે ગામ જા. તે મારી બહુ સેવા કરી છે. પણ એક કામ કરજે. તારે ગામ જઈને આ વડની ડાળી એવી જગ્યાએ વાવજે જ્યાં લોકોની અવરજવર બહુ જ ઓછી હોય.”

એણે પૂછ્યું,”મારા બાપલીયા, એવી તો કઈ જગા હોય? ગામમાં તો એવી જગા ગોતવી અઘરી છે.”

ફકીરે કહ્યું,”કોઈ જગા ના મળે તો એણે સ્મશાનમાં વાવી દેજે.”

એણે કહ્યું,”સ્મશાન? એ તો અપવિત્ર ના કહેવાય? એવી જગાએ આ વૃક્ષ વાવીને શું ફાયદો?”

ફકીરે કહ્યું,”બેટા, એ તો સૌથી પવિત્ર જગા છે. સ્મશાનમાં અવરજવર પણ ઓછી હોય. અને ત્યાં કદી માણસને ખરાબ વિચારો ના આવે.ત્યાં એનું મન હમેશાં પવિત્ર જ હોય.ત્યાં જ નાના મોટાનો ભેદ નથી અને ત્યાં જ એનું અંતિમધામ. ત્યાં જઈને જ માણસ સત્યને પામે છે અને ખુદાને જાણે છે.માટે તું આ વૃક્ષને સ્મશાનમાં જ વાવજે. અને રોજ રાત્રે બાર વાગે તું ઘડો ભરીને પાણી પીવડાવવા જાજે.”

એણે ફકીરની વાતને માથે ચડાવી અને પોતાને ગામ ભણી ચાલ્યો. ત્યાં આવીને એણે નિત્યક્રમ શરૂ કરી દીધો.રોજ રાત પડે અને એ પાણીનો ઘડો ભરીને પોતાની જોટાણી તલવારને કે’ડે ટાંગી સ્મશાન તરફ પગ માંડે. તેને કોઈની બી’ક નો’તી. સ્મશાનમાં અડધી રાતે જતાં ભલભલાના હાંજા ઘઘડી જાય. પણ આ તો એવો મર્દ કે જો ત્રાડ નાંખે તો સામેવાળાના છાતીના પાટીયા બેહી જાય.અને તલવાર ચલાવવામાં તો એવો પાવરધો કે એકલે હાથે બધાનો ઘાણ વાળી દે.એનાં મનમાં બસ એક ભગવાનનું નામ અને ફકીરની વાત, કે રોજ આ ક્રમ ચાલુ રાખવાનો અને ભગવાનનું ધ્યાન ધરવાનું.

એક દી થયું એવું, કે ગામમાં એક નાની સોળ-સત્તર વર્ષની દીકરીનું અવસાન થયું.નાની ઉમર, ગામમાં શોક ફેલાયો. એ દીકરીને એ જ સ્મશાનમાં દફનાવી.ગામમાં એક પાપી નરાધમ માણસ રહે, એની નજર આ દીકરી પર હતી. અરે એનાં પાપની હદ તો એ કે’વાય, કે મૃત્યુ બાદ પણ એનો બદ-ઈરાદો એ જ રહ્યો. એક દિવસ એણે રાત્રે સ્મશાનમાં જઈ એ નાની બાળાની લાશ બહાર કાઢવાનું નક્કી કર્યું. અને એવા ઈરાદાથી એ સ્મશાનમાં આવી કબર ખોદવા લાગ્યો. એણે ઉપરવાળાનો યે ડર નો’તો કે નો’તી એનાંમાં કોઈ દયા!

અને ઉપરવાળાનું કરવું, કે એ જ સમયે પેલો ભગત પાણીનો ઘડો ભરીને પોતાના રોજીંદા નિયમ મુજબ વડને પાણી પીવડાવવા આવી રહ્યો હતો. લાંબી વધેલી દાઢી અને શાંત એવી આંખો. મો માં રામનામ અને અંતરમાં ખુદાનું ધામ જાણે એને દુનિયાનું કોઈ ભાન, કોઈ ચિંતા નો’તી.

પણ અચાનક, તેણે એ દ્રશ્ય જોયું. તે ઓળખી ગયો કે આ પાપીને પોતાનો આવો ઈરાદો પૂરો કરવામાં એટલી પણ શરમ નહિ આવે કે એક લાશનો મલાજો રાખશે. એનાં દિલ-દિમાગમાં ખુમારી આવી ગઈ, એને સઘળી ઘટના જોતાં પોતાનું બધું ભાન ભૂલી અને નિર્ણય કરી લીધો કે આ નહિ થવા દઉં. પછી ભલે જે થવું હોય તે થાય.

એણે પોતાની મ્યાન કરેલી તલવાર બા’ર કાઢી અને ઉપરવાળાને ત્રાડ નાખીને કહ્યું,”કે હે બાપા, હે ધરતીના સ્વામી, ભલે મારા નવાણું પાપ ધોવાય કે નો ધોવાય. તારાથી જે થાય એ કરી લેજે પણ આજે હું તલવાર ઉપાડ્યા સિવાય રહું તો મારી મર્દાનગી લાજે, મારો ધર્મ લાજે.”

એક જ તલવારનો ઘા... અને પેલા પાપીના બે કટકા કરી નાખ્યા. તેના મનમાં એ વાતનો જરાયે અફસોસ નો થયો. ઉપરથી એણે ખુશી થઇ કે એનાં હાથે એની નજર સામે એક પાપ થતું અટક્યું.

તરત જ બધું ભૂલીને ઘડો ઉપાડી એ વડને પાણી પાવા ગયો. ફકીરે કહ્યું હતું કે વડને ત્યાં લગી પાણી પાજે જ્યાં લગી એણે વેઢા-વેઢાની કુંપળો ના ફૂટે. અને એક અચરજ...જ્યાં કાલે નાની નાની પાંદડીઓ માંડ-માંડ દેખાતી હતી, ત્યાં આજે હાથ- હાથ જેટલા પાન ફૂટી નીકળેલા! 

એનાં સઘળાં યે પાપ ધોવાઈ ગયાં એક માત્ર સારા કર્મથી.. એક માત્ર મનના સારા વિચારથી...એનાં પ્રાયશ્ચિતથી... એણે વર્ષો સુધી કરેલી સેવા અને પશ્ચાતાપના આંસુઓથી...

ભક્તિ પણ મર્દનું જ કામ છે. એમ જ ભક્તિને ખાંડાની ધાર નથી કહી. કોઈ શૂરવીર જ ભક્તિ મક્કમતાથી કરી શકે. ઢીલા પોચા લોકોનું એ કામ નથી. એની માટે તલવાર ઉપાડવાની પણ તાકાત જોઈએ. એક હાથમાં તલવાર અને બીજામાં માળા રાખી શકે એ જ ખરો ભગત. નિર્બળ તો બીજાને વધ થઇ જાય અને પછી એની ભક્તિનો કોઈ સાર નથી રહેતો. શૂરવીર ભક્તિની સાથે પાપને પણ કાબુમાં રાખી શકે છે...અને ધર્મની રક્ષા કાજે શસ્ત્ર ઉપાડવાની પ્રેરણા દરેક સંસ્કૃતિમાં આપવામાં આવી છે. જે ભક્ત ધર્મની રક્ષા ન કરી શકે એની ભક્તિ નિરર્થક છે...

માટે જ તો રાવણને પણ રામે કહ્યું હતું કે,” હે રાવણ, ભલે તે મારી સામે તલવાર ઉપાડી..મને સામી છાતીએ ઘા કર્યો... પણ હું તને પ્રણામ કરું છું... તારી ભક્તિની કીમત અમૂલ્ય છે... માળા લઈને મારું નામ રટનારા તો ઘણા પડ્યા છે.. પણ તારા જેવા શૂરવીર બહુ ઓછા છે...