Showing posts with label કુદરત. Show all posts
Showing posts with label કુદરત. Show all posts

Thursday, July 15, 2010

તસ્વીર: પુનીતવનની મુલાકાતે...

મિત્રો,હમણાં રથયાત્રાના દિવસે રાજા હતી. તો અહી નજીક જ આવેલા એક ઉદ્યાનમાં જવાનું નક્કી કર્યું.એકલા જ વળી...હું મારો કેમેરા લઈને નીકળી પડ્યો...ઘણા સમયથી કંઈક સારી ફોટોગ્રાફી કરવાનું વિચારતો હતો...તો એ દિવસે ચાન્સ મળી ગયો... અહી એમની કેટલીક તસ્વીરો રજૂ કરું છું...આશા છે કે તમને ગમશે...અને તમારા પ્રતિભાવોની રાહ જોઇશ...

(મોટી સાઈઝમાં જોવા માટે ચિત્ર પર  click કરજો...)



Friday, July 9, 2010

તારી સુવાસ અંગ થકી ઓસરી નથી

તારી સુવાસ અંગ થકી ઓસરી નથી,
આશ્લેષથી તું જાણે કદીયે સરી નથી.

ફૂલોએ કેમ જાણી હશે આપણી કથા?
મેં તો ચમનમાં વાત કોઇને કરી નથી.

આ રસ્તે આવવાની ઉતાવળ કરો નહીં,
આંખો મેં આખે રસ્તે હજી પાથરી નથી.

શમણું છે એ કહો છો, તો માની લઇશ હું,
મેં તો હજી બે પાંપણો ભેગી કરી નથી.

એને કશું ન ક્હેશો ભલા, એનો વાંક ક્યાં?
એ લોકોએ કદીય મહોબ્બત કરી નથી.

- હરીન્દ્ર દવે

Thursday, July 8, 2010

મેઘધનુષનાં રંગો...


કાલે સાંજે વરસાદે સરસ માહોલ જમાવ્યો હતો. હવામાં ખૂબ સુંદર તાજગી.. અને એક અનોખી ખુશનુમા અદા...

એવી ઠંડક કે જાણે આભાલામાંથી બરફનાં નાનાં નાનાં કરા પડી રહ્યા હોય અને ભોમકાને ભેળાં થવા ઉતાવળાં થઈને હવામાં પોતાની સુવાસ ફેલાવીને ઓગળી રહ્યાં નાં હોય!

વાદળો એવાં તો ઘેરાયેલાં ... સંધ્યા થઇ હોય અને એ સુંદર આકાશમાં કોઈએ ઘેરા રંગની પીંછીંથી જાણે શેરડા માર્યા હોય...એનો રંગ તો આપણી આંખો ધરાય નહિ એવો સરસ...અને જોઈ રહેવાનું જ મન થયા કરે...

અને ઉંચા મકાનના ધાબા પરથી જોતાં એવું રમણિય દ્રશ્ય સર્જાય... અહી કાલે ખેંચેલી તસ્વીર રજૂ કરું છું. એમાં ખાસ આભાર કૃણાલ સોનીનો..જેને મેઘધનુષની આ તસ્વીર ખૂબ સુંદર રીતે ખેંચીને આપણા બધાં માટે રજૂ કરી છે...



અને  સાથે સાથે મારી એક નાનકડી રચના.. જે તમને ગમશે એવી આશા છે. :)


વરસાદની આ મોસમમાં...મેઘધનુષ દેખાયું છે, 
એના ડીલની ચારેકોર...જાણે રંગોની મિજબાની છે...

સૂકું આકાશ એને મન...કોરું એક પાનું છે, 
જેને દિલ ભરીને રંગવાની...મેઘરાજાએ ઠાની છે...

એમાં વળી સંધ્યાએ પણ...મસ્ત મહોલત આપી છે, 
સૂરજને પણ ઊંઘતા પહેલાં...એને ખૂબ માણી છે...

ગામ આખું જોઈ રહ્યુ... કૂદરતની કરામત છે, 
આવી આવી આવી... મેઘરાજાની સવારી છે...

Tuesday, July 6, 2010

જગત ઇશ્વરનું સર્જન છે ...

'જગત ઇશ્વરનું સર્જન છે' એવું સ્વીકારી લેવાથી રાહત થાય છે, કારણ કે પછી સવાલ લટકતો નથી રહેતો, મગજ અટકેલું નથી રહેતું, દાંતમાંથી વરિયાળી નીકળી જાય છે. તો આ થયું ઇશ્વરમાં રસ પડવાનું એક કારણ કે જગતના રહસ્ય વિશેનો (ચાહે સાચો કે ખોટો) જવાબ ઇશ્વરમાંથી મળી રહે છે. માટે માણસને ઇશ્વરમાં રસ પડે છે.

આભાર, શ્રી હર્ષદ બ્રહ્મભટ્ટ.

Saturday, July 3, 2010

ધરતીની તરસ બુઝાઈ ગઈ...

છેવટે જે વરસાદની આપણે કેટલાંય દિવસોથી રાહ જોતા’તા એ વર્ષારાણી આખરે પોતાની દયા વરસાવતા આવી પહોંચ્યાં. છેલ્લા બે-અઢી કલાકથી વરસાદે જાણે રમઝટ બોલાવી હોય એવું લાગે છે.


જે ધરતી છેલ્લા કેટલાયે સમયથી સુર્યની અગનજવાળાઓથી દાઝતી હતી...પોતાની એ સ્થિતિથી કંટાળી ગઈ હતી... એ ધરતીને આજે આખરે ઠંડા પાણીના ફોરાઓ સ્પર્શ્યા..,જાણે એની વર્ષોની તપસ્યાનું ફળ મળ્યું હોય...એમ ધરતી પણ ખુશ ખુશ થઇ ગઈ... પોતાની એ ખુશી જાણે ભીની માટીની સુગંધરૂપે પ્રદર્શિત કરી રહી ના હોય!

ઉનાળાના તાપથી તપેલી માટી અને ઠંડા પાણીનાં ટીપાંનું મિલન થાય ત્યારે માટીની તપીશ વરાળ સ્વરૂપે ઉડી જાય...પણ પાણી એ તાપીશને ઉડવા દેતું નથી...એને પોતાનામાં સમાવી લે છે...અને એમાંથી સર્જાય છે એ ખુશ્બુ...જેનાથી બધા પશુ-પંખીઓ અને મનુષ્યો આહલાદકતા અનુભવે છે...

પાણીનાં ફોરાનો એ ટ્પ ટ્પ અવાજ...સરસ મજાની વહેતી ઠંડી હવા...ગરમીને કારણે ઉકળી ઉઠેલા અને આંધીથી ગંદા થયેલાં ઝાડ પલળીને ચોખ્ખાં થઈ ગયાં...પંખીઓ પોતાનાં માળાઓમાં ભરાઈ ગયાં...કોયલનો ટહુકાર શરૂ થઇ ગયો....પશુઓ ઝાડ નીચે એકઠાં થઈ ગયાં...

બધું શાંત થઇ ગયું... માત્ર અને માત્ર સંભળાય છે તો ... વરસાદનો અવાજ... એને બસ સાંભળી રે’વાનું જ મન થાય... એમ થાય કે આખી રાત બસ ધોધમાર વરસાદ પડતો રહે... અને એને જોતા રહીએ...

વાતાવરણમાં જાણે એક અનોખી મસ્તી છવાઈ ગઈ છે...રોડ પરથી વહેતું પાણી...જેને જોઈને ઘર આંગણે જાણે કોઈ નદીનું ઝરણું આવ્યું હોય એવું લાગે...એમાં છ્બછ્બીયાં કરવાનું મન થાય...ઠંડી હવાને શ્વાસમાં ભરી લેવાનું મન થાય...બધું ભૂલીને બસ...આ મૌસમ માણવાનું મન થાય...

શહેરનાં રસ્તાઓ એક દમ ચોખ્ખાં થઇ ગયાં હોય... અને જ્યારે એની પરથી કોઈ વાહન પસાર થાય ત્યારે પાણીની બુંદો હવામાં ઉછાળા મારે...ત્યારે એને અનુભવવાની પણ એક મઝા છે... ઘણા લોકો પોતાનાં બાઇક પર ઠંડા પવનની મઝા માણવા નીકળી પડ્યાં છે...

તો મિત્રો, આવો આપણે પણ એ ભીનાશને આવકારીએ?થોડા ભીંજાઈને ગરમ ગરમ ચા પીએ...?

Friday, July 2, 2010

જિંદગીનું અંતિમ ફળ શું હોય?

એવું નથી કે દરેક વખતે લોકો જ જિંદગીમાં બદલાવ લાવવા માંગતા હોય છે, 
ઘણી વાર ખુદ જિંદગી તેમને એવું કરવા માટે પ્રેરિત અથવા તો અધીરા કરી નાખે છે.

કેટલીક વાર આપણે જે ઈચ્છીએ છીએ તે આપણી ઈચ્છા નથી હોતી, 
પણ એ હોય છે આપનો ઘમંડ અને અદેખાઈ જે માત્ર અને માત્ર બીજાને બતાવવા માટે જ કરતા હોઈએ છીએ. 

જિંદગી હમેશા એની રીતે જ ચાલે છે, આપણા મુજબ નહિ. ભલે આપણે એવું રાખીએ મનમાં કે, "આ મેં કર્યું છે." પણ એ જિંદગીએ આપણને આપેલો એનો નિર્ણય છે, જેને આપણે પોતાનો સમજીને પાર પાડીએ છીએ.

ઘણી વાર લોકો કંઈક કરવાનું વિચારે છે. અને છેલ્લે જો એમાં નિષ્ફળતા મળે તો એમાં કોઈ બીજાનો કાં તો પછી નસીબનો વાંક કાઢે...ખરખર તો જિંદગીએ આપણી માટે રસ્તો નક્કી જ કરેલો હોય છે. જોવાનું એ છે કે આપણે તે સ્વીકારીએ છે કે નહિ. જો આપણે એ સ્વીકારીએ કે આપણે શું છીએ અને શું ધરાવીએ છીએ, તો જીવન ઘણું જ સરળ થઇ જશે. જેમ પ્રભુ શ્રીકૃષ્ણે ગીતામાં કહ્યું છે તેમ,

"કર્મ કરતો જા... ફળની ઈચ્છા રાખીશ નહિ...કારણકે તે મનુષ્યના મસ્તિષ્કમાં સતત ચિંતા અને વિચારોના વમળ સર્જે છે...જે અંતમાં મનુષ્યની બધી જ સમસ્યાઓનું મૂળ બને છે."

આ વસ્તુ જ આપણને છેલ્લે અંતિમ ફળ સુધી પહોંચાડે છે... જે છે ઈશ્વરનો સાક્ષાત્કાર... મનની શાંતિ... મનમાં નથી કોઈ સમસ્યાઓ અને નથી કોઈ ખોટા-બિનજરૂરી પ્રશ્નો...નથી કોઈ શંકા કે જેને કારણે મન વ્યગ્ર બને... આ ભાવના જ આપણને એ અધ્યાત્મિક સ્થિતિ માં લાવીને સફળ કરે જે માત્ર નિર્મળ હૃદય અને ખુલા ચિત્ત ને જ લભ્ય છે...જેને પોતાની જાત પ્રત્યે અભિમાન નથી...કોઈ સાચા-ખોટા વિકારો નથી...

ફોરવર્ડ ઈમેઈલ : ઈશ્વર સાથે ચેટિંગ ...

મિત્રો, આજે આ લેખ મને ઈમેઈલ દ્વારા મળ્યો છે. મેં જયારે ગૂગલ સર્ચ કર્યું, તો કેટલીયે sites પર મને આ વાંચવા મળ્યું. આ માત્ર અને માત્ર તમારા મનોરંજન માટે અહી રજૂ કરું છું.


 એક વખત હું મારા લૅપટૉપ પર ચેટિંગ કરતો હતો. ત્યાં મને ઈશ્વરનો ઓનલાઈન ભેટો થઈ ગયો.

ઈશ્વર : શું તું મારી સાથે ચેટિંગ કરવા માંગે છે ?’

હું : ના, મેં તમને બોલાવ્યા નથી. તમે કોણ છો ?’

ઈશ્વર : વત્સ ! હું આ સમસ્ત બ્રહ્માંડનો અને આ સૃષ્ટિનો સર્જક છું….ઈશ્વર છું.

હું : હું કેવી રીતે માનું કે તમે ઈશ્વર છો ? તમારા જેવા તો ઘણા પોતાની જાતને અહીંભગવાનકહેવડાવે છે.

ઈશ્વર : માનવું કે ન માનવું એ તારી મરજીની વાત છે. મને તેનાથી કોઈ ફરક નથી પડતો. તને જો તારી જાતમાં વિશ્વાસ ન હોય તો પછી મારામાં ક્યાંથી હોય ?’
 
હું : ઓ.કે. પરંતુ હું અત્યારે નવરો નથી. તમારી સાથે વાત કરવાનો મને સમય નથી. તમે જાણો છો કે હું કેટલો વ્યસ્ત છું ?
 
ઈશ્વર : વ્યસ્ત તો કીડી મંકોડા પણ આખો દિવસ હોય છે !
 
હું : તમને ખબર નથી કે અમારે કેટલું કામ હોય છે. જિંદગી કેટલી ઝડપી થઈ ગઈ છે. અત્યારે પીક અવર્સચાલે છે.
 
ઈશ્વર : ભાઈ, સવારના પહોરમાં તું છાપાઓમાં ભરેલો દુનિયાભરનો કચરો મગજમાં ઠાલવે છે. એટલું ઓછું હોય તેમ, અત્યારે તારા પીક અવર્સમાં ઈન્ટરનેટથી બીજા વધારે કચરાનો ઉમેરો કરે છે. આને તું વ્યસ્તતા કહે છે ? તને તારા માટે ફુરસદ ન હોય તો મારા માટે તો ક્યાંથી હોય ? પણ મને થયું ચાલ, ઈન્ટરનેટ પર તો તું ચોક્કસ મળી જ જઈશ અને તને એ વધુ અનુકૂળ પડશે; જેમ તું તારા પુત્રોને મોબાઈલ પર જ મળી લે છે ને તેમ !
 
હું : જો તમે ખરેખર ઈશ્વર હોવ તો મને જવાબ આપો કે જિંદગી આટલી બધી ગુંચવણભરી કેમ બની ગઈ છે ?’
 
ઈશ્વર : જિંદગીનું બહુ પિષ્ટપેષણ કરવું સારું નહિ. અતિશય ઉપભોક્તાવાદ અને આડેધડની તૃષ્ણાઓ ઓછી કરીને સહજ રીતે જીવ, બેટા !
 
હું : તમને ખબર છે કે અમારું જીવનધોરણ કેટલું ઊંચું થઈ ગયું છે ?’
 
ઈશ્વર : હા, ફક્ત તારું જીવનધોરણ જ ઊંચું ગયું છે, જીવન ઊંચું નથી ગયુંએ જ તો તકલીફ છે ને !
 
હું :તો શું અમારે પાછા જવું ? પાછા ફરવું તો અમારે માટે શક્ય જ નથી.
 
ઈશ્વર : મેં તને પાછા ફરવાનું કહ્યું નથી, પરંતુ ધારે તો તું નવેસરથી શરૂઆત તો કરી શકે ને ? ટેકનોલૉજીએ ઊભા કરેલા તારા પ્રશ્નોને દૂર કરવા માટે તારે જ કોઈ નવી ટેકનોલોજી વિકસાવવી પડશે !
 
હું : અમે કાયમ ઉદાસ, નિસ્તેજ અને દુ:ખી કેમ હોઈએ છીએ ?’
 
ઈશ્વર : હરીફાઈમાં સતત આગળ નીકળવા તેં તારી જાતને ઉંદરદોડમાં મૂકી દીધી છે. પહેલાં તું સફળતા માટે દોડતો હતો, હવે તું સફળતા ટકાવી રાખવા દોડે છે ! આમ, તારા માટે દોડાદોડ કરવા સિવાય કશું જ બચ્યું નથી. તું હવે તો ખડખડાટ હસવાનું પણ ભૂલી ગયો છે. સતત ચિંતા કરવી અને અસલામતીનો ભય રાખવો એ જ હવે તારો સ્વભાવ થઈ ગયો છે. તો પછી ઉદાસ ને દુ:ખી જ રહેવાય ને ?’
 
હું : પણ તમને ખબર છે કે અમે સતત લટકતી તલવાર નીચે કામ કરતાં હોઈએ છીએ. અમારે અમારા ટારગેટ સમયસર પૂરા કરવાના હોય છે અને બીજી બાજુ મકાનના હપ્તાં, બાળકોની ફી ભરવાની હોય છે. કોઈક વાર તો ગાડીના હપ્તાં ભરવાના પણ બાકી રહી જાય છે. તો પછી ચિંતા કેમ ન થાય ? ભાવિ બધું જ અનિશ્ચિત દેખાય છે.
 
ઈશ્વર : એ તો ભાઈ જો, જગતમાં મૃત્યુ સિવાય બધું જ અનિશ્ચિત છે. કેટલી બાબતોની ચિંતા કર્યા કરીશ ? ચિંતા કરવી કે નહીં એ તારા હાથની વાત છે.
 
હું : પણ એ દરેક અનિશ્ચિતતા સાથે દર્દ, પીડા અને પરેશાની જોડાયેલી હોય છે,એનું શું ?’
 
ઈશ્વર : વ્હાલા દીકરા ! મેં તારું સર્જન તને પીડા કે દુ:ખી કરવા નથી કર્યું. જો એવું હોત તો મેં તારા જન્મ પહેલાં તારા દૂધની વ્યવસ્થા ન કરી હોત. જિંદગી દુ:ખી થવા માટે નથી. આ બધી પીડા તો તેં તારી જાતે જ ઊભી કરેલી છે. દુનિયાની દોડમાં તું બરાબર ફસાયો છે. કાદવમાં ફસાયેલો માણસ કાદવમાં વધારે ઊંડો ઊતરતો જાય એવું છે ! તેં વાઘ પર સવારી માંડી છે અને હવે તું ગભરાય છે કે વાઘ મને ફાડી ખાશે !
 
હું : પ્રભુ ! ખરૂં પૂછો તો આટલી બધી પીડાઓ, મુશ્કેલીઓ વચ્ચે અમે કઈ રીતે જીવીએ છીએ એ જ ખબર નથી પડતી.
 
ઈશ્વર : તું સતત બહાર ભટકીને ખરેખર થાકી ગયો છે. જરાક તારી અંદર ખોજ કર. થોડું આત્મદર્શન કર. એમ કરીશ તો તને ખબર પડશે કે તું ક્યાં જઈ રહ્યો છે.
 
હું : તમે તો ઈશ્વર છો, તો મને કપરા સંજોગો અને મુશ્કેલીના સમયમાં ટકવાની ચાવી બતાવો ને !
 
ઈશ્વર : તારામાં પણ અપાર શક્તિ છે.એને ઓળખવાની કોશિશ કર. મુશ્કેલીઓનો સામનો કરવાનો એ જ ઉપાય છે. થોડી ધીરજ, હિંમત, વિશ્વાસ અને ઉત્સાહ રાખ. કપરાં સંજોગો પણ કાયમ કપરાં રહેતાં નથી, એ પણ વહી જવાના છે.
 
હું : ચલો, એ તો બરાબર. પણ મને એ પ્રશ્ન થાય છે કે દુનિયામાં લોકો આટલા બધા સ્વાર્થી કેમ થઈ ગયા છે ?’
 
ઈશ્વર : લોકો જેવા છે તેવા સ્વીકારી લે. બીજાને બદલવાનો મિથ્યા પ્રયાસ ન કરીશ. તારી જાતને ઓળખીને તેને બદલવા કોશિશ કર.
 
હું : એ તો હું સમજ્યો પણ મને એ નથી સમજાતું કે દુનિયામાં સારા માણસોને જ કેમ સહન કરવું પડે છે ?’
 
ઈશ્વર : બેટા, સારા માણસોની જ કસોટી થાય છે. સોનું કસોટીમાંથી શુદ્ધ થઈને બહાર આવે છે. એ રીતે પ્રશ્નો, મુશ્કેલીઓ હકીકતે આંતરિક શક્તિ અને સહનશીલતા વધારે છે.
 
હું : તમે હાલની માનવજાત માટે શું માનો છો ?’
 
ઈશ્વર : એ જ કે, પૈસા મેળવવા માટે સ્વાસ્થ્ય ગુમાવે છે અને પછી સ્વાસ્થ મેળવવા પૈસા ગુમાવે છે ! અર્થાત પૈસાનું પાણી કરે છે ! બાળપણમાં કંટાળો અનુભવે છે અને ઘડપણમાં બાળપણ ખોળે છે. યુવાનીમાં તો એ રીતે જીવે છે જાણે કે કદી મૃત્યુ આવવાનું જ નથી ! જ્યારે કોઈ મુશ્કેલી આવે છે ત્યારે કહે છે મને એકલાને જ આવું કેમ ?’ બાકી ક્યારેય સુખમાં હું એકલો કેમ ?’ એવો પ્રશ્ન એને નથી થતો.
 
હું : પ્રભુ, તમે જિંદગીને ઉત્તમતાથી માણવાનું રહસ્ય મને કહો.
 
ઈશ્વર :તનેહંમેશા સામે કિનારે જ સુખ દેખાય છે. તારી પાસે જે કંઈ છે, જેટલું છે એને ભોગવ. જે નથી એની ચિંતા ના કરીશ. સતત ફરિયાદ અને સરખામણી ન કરીશ. સતત સરખામણી કરીને તેં તારા ઘરમાં પણ આગ લગાડી છે. ભૂતકાળને ભૂલીને વર્તમાનને વિશ્વાસથી વધાવતાં ભવિષ્ય માટે તૈયાર રહે. નફરત અને નકારાત્મક વિચારો છોડી દે નહીં તો એ વધુ જોરથી તારી પાસે આવશે. બીજાને પ્રેમ કર તો આપોઆપ લોકો તને પ્રેમ કરશે. થોડુંક્ષમા આપવાનું પણ રાખ.
 
હું : મારો એક છેલ્લો સવાલ એ છે કે મારી પ્રાર્થનાઓ કોઈ દિવસ તમને સંભળાય છે ખરી ?’
 
ઈશ્વર : બધી જ સંભળાય છે પરંતુ જવાબ આપવાની મારી રીત જુદી હોય છે. મારા જવાબો ભવ્ય પર્વતો, ઝરણાં, નદીઓ, સમુદ્રો અને વૃક્ષોની વનરાજીમાં છે. ભવ્ય સૂર્યોદય અને સૂર્યાસ્તમાં છે. દરરોજ એક સુંદર પ્રભાત થાય છે આ બધા મારા જવાબો છે. પરંતુ તને તે જોવાની ફુરસદ જ ક્યાં છે ? ચાંદની રાતે કોઈકવાર ખુલ્લા આકાશ સામે શાંતચિત્તે થોડો સમય બેસીને મંદ મંદ વહેતા પવનની લહેરો કે તમરાનું મધુર સંગીત માણ્યું છે ? એ માણતાં શીખીશ તો તને મારા જવાબો મળી જશે.
 
હું : આપને મળીને ખૂબ સારું લાગ્યું. આ વાર્તાલાપ માટે આપનો ખૂબ ખૂબ આભાર. મારા માટે કોઈ સંદેશ છે ?’
 
ઈશ્વર : વત્સ ! મારામાં શ્રદ્ધા રાખ. હું તને આ સંસારના બધા ભયોમાંથી મુક્ત કરી દઈશ. જિંદગી એક રહસ્ય છે પણ કોયડો નથી. મને યાદ કરજે, મારામાં નિષ્ઠા રાખજે. કદીયે હતાશ થઈશ નહીં. તું હાંક મારજે, હું અચૂક હાજર થઈ જઈશ કારણ કે તું મારું સર્વશ્રેષ્ઠ સર્જન છે. તું મને વ્હાલો છે.

Wednesday, June 30, 2010

સૌરાષ્ટ્રની મુલાકાતે (ગીર, સોમનાથ અને દીવ)...


મિત્રો, આ લખવા માટે હું ખુદ ઘણો આતુર હતો, પણ કામને લીધે થોડુંક મોડું થઈ ગયું.

હમણાં જ સૌરાષ્ટ્રની મુલાકાત લીધી. સૌરાષ્ટ્ર એટલે... કાઠીયાવાડ, ઝાલાવાડ, ગોહીલવાડ અને સોરઠનો સમન્વય... અને મારી ભૂલ થતી હોય તો યાદ કરાવજો...

(જૂનાગઢના પાદરે...)
અમારો પ્રવાસ અમદાવાદથી શરૂ કરીને રાજકોટ થઈને જૂનાગઢ થઈને ગીરના જંગલ સુધી પહોંચ્યો.

સવારે ૭ વાગ્યે અમદાવાદથી ગાડી લઈને નીકળ્યા. વચ્ચે થેપલાં, મસાલાવાળી પૂરી અને અથાણાંની મિજબાની ચાલી.

જૂનાગઢમાં બપોરે ૧ વાગ્યે એક ઓળખીતાને લાભ આપ્યો જમવાનો! અને ત્યાંથી સાસણ તરફ ગાડી હંકારી...


આગળ જતાં ખબર પડી કે સિંહ જોવા હોય તો દેવળિયા જવું પડશે...એટલે અમે એ તરફ વળ્યા...

જૂનાગઢથી લઈને સાસણ જતાં વચ્ચે દેવળિયા આવે, જ્યાં ગીરનાં જંગલમાં જો સિંહના ખબર હોય તો તંત્ર દ્વારા બસમાં બેસાડીને જંગલમાં ૩૫ થી ૪૦ મીનીટ ફેરવવામાં આવે છે.

અને એક સીમા પછી આપણાં વાહનો પ્રતિબંધિત છે.

અને અમારા સદનસીબે ત્યાં સિંહ જોવા મળી ગયા! સિંહને જોઈને જ આંખો ચાર ને જીભડા બાર! આનંદની તો સીમા જ નહોતી...

(દેવળિયાના જંગલમાં...)

એ વનરાજીમાં એવા સોરઠના સાવજને...વનરાજને જોઈને એમ થયું કે આ જ જંગલનો રાજા! શું એની છટા... શું એની બેફિકરાઈ...અને શું એની ઊદારતા...


(સોરઠનો સાવજ... લાક્ષણિક પળોમાં...)

 (સાવજ્થી દૂર... ડર્યા વિના...)

વાહન એની એકદમ લગોલગ હોવાં છતાં એને તો જાણે કાંઈ પડી જ નથી!

જાણે કે આપણને જોઈને વિચારતો હોય કે," જુઓ જુઓ.. પિંજરામાં મનુષ્યોનું ટોળું આવ્યું...આપણી જેમ એને પણ કોઈક દિવસ તો પુરાવું પડ્યું!"...

પોતાની મસ્તીમાં મસ્ત એવા આ રાણાને જોઈ એની તસ્વીરો લેતાં મન નો'તું ધરાતું...પણ છતાંય બહાર તો જવું જ પડે ને...

ગીરથી લગભગ ૫.૩૦ જેવા નીકળીને અમારી ગાડી હાલી સોમનાથ તરફ...



સોમનાથ... આપણા ચાંદામામાએ જેની સ્થાપના કરી હતી તે... ભારતનાં ૧૨ જ્યોર્તિલીંગોમાંનું એક...

અરબી સમુદ્રના કિનારે... દરિયાદેવ જેની સતત પૂજા કરતા રહે છે...અને એનાં પગમાં અભિષેક કરતાં થાકતાં નથી...

(જય સોમનાથ...)
સોમનાથનો દરિયો... ભયંકર તોફાની...ઊંચા ઊંચા મોજા ઊછાળતો...જાણે કે શિવના તાંડવની યાદ ના અપાવતો હોય?

અને એમાંય વળી ચૌદસ-પૂનમના દિવસો... એટલે તો જાણે દરિયો, "મારું કે મરૂં... લઈ જાંઊ કે ખાઈ જાંઊ..."

અહીં દરિયા કિનારે ન્હાવાની મનાઈ હોવા છતાં લોકો પોતાની જાતને રોકી શકતાં નથી...

અને શિવ-શંભુ...ભોળાનાથનાં દર્શનનો લ્હાવો...રોજ સવારે અને સાંજે ૭ વાગ્યે થતી આરતીમાં માનવ મહેરામણ આજે પણ ઊભરાતો જ રહે છે...

શિવલીંગની સામે ઊભા રહિયે તો જાણે કોઈ અલૌકિક આનંદ મળે...એમ શાંતિ અનુભવાય...ત્યાંથી હટવાની ઈછ્છા જ ન થાય...

ત્યાંની હવામાં જાણે શિવતત્વ જ સમાયેલું છે..જે મનને ખૂબ જ શાંતિ અને નીર્મળતા આપનારું છે...

ખબર નથી કેમ... ભગવાનને તો કોઈનો ડર ન હોય.. પણ છતાંય અહીં ઘણી બધી પોલિસ ખડકી દેવાઈ છે...

અને બીજું એ... જે દરેક હિંદુ ધર્મસ્થાનની સમસ્યા છે... ગંદકી...આટલું મોટું ધામ હોવા છતાં ગંદકીનું પ્રમાણ વધી જ રહ્યું છે...

સવાર-સાંજ શિવને ભજી... આરતીમાં શિવનાં ગુણ-ગાન કરી અને બીજી સવારે અમે નીકળી પડ્યા... દીવ તરફ...



દીવ... નામ સાંભળતાં જ દરિયો...પાણી... સરસ મજાનાં કિનારા યાદ આવી જાય...

અને સાથે સાથે...પેલું ગીત પણ, "की पीने वालों को... पीने का... बहाना चाहिये..." મોટે ભાગે... દીવનું નામ આવે એટલે એ જ વાત હોય...

 (ગંગેશ્વર મહાદેવ...)

(દીવની જેલ...)

(ફોર્ટ...)

પણ એના સિવાય પણ દીવમાં ઘણી ફરવા લાયક જગ્યાઓ છે...

દીવ પોર્ટુગીઝોએ વસાવેલું શહેર છે એટલે એમાં એની ઝલક છતી થાય છે..વાસ્તવમાં અહીં ગુજરાતી લોકો જ વધુ છે, છતાં પણ એ વીતેલા જમાનાની યાદ અપાવે છે...

દીવનો કિલ્લો અને જેલ એ પોર્ટુગીઝોનાં જમાનાની મોટી અમાનત છે...અને એ એવું મજબૂત બાંધકામ છે કે આટઆટલાં વર્ષો પછી પણ અડીખમ ઊભી છે...

એનાં સિવાય સરસ દરિયા કિનારાઓ...જ્યાં લોકો ન્હાવાની મજા માણે... અને અહીંનો દરિયો શાંત છે... જાણે ઉદારતાથી આપણને ન્હાવાની પરવાનગી આપતો ના હોય...

અહીં નાગોઆ બીચ અને ઘોઘલા બીચ બહુ જ વિખ્યાત છે... એ સિવાય ગંગેશ્વર મહાદેવ્નું મંદિર, સનસેટ પોઈંટ, સમર હાઊસ અને બીજી એવી જગ્યાઓ જે બહુ લોકો નહી જાણતા હોય...

એવા બીચ પણ છે જ્યાં માંડ દસથી પંદર લોકો પણ જોવા નથી મળતા...ત્યાં વિદેશી મુસાફરો તડકો ખાતા હોય છે...

દરિયામાં ન્હાવાની મજા જ ઓર છે...

દરિયો જાણે આપણી સાથે રમત કરતો હોય એમ દર વખતે કપડાંનાં ગજવામાં ભીની માટી ભરી દે...

એક વાર ધીરે તો બીજી વાર જોરથી..એમ કરીને વધુને વધુ પલાળતો રહે...

મારું માનો... તો ગોવા કરતાં પણ દીવ વધું સુંદર અને સ્વચ્છ છે...અને અહીંના લોકો પણ સરળ છે...

આપણને ગોવાની જેમ અહીં ખોટી ભીડ નહિ લાગે...અને ખરેખર "રજામાં મજા" સાર્થક છે...


બસ... ત્રણ દિવસનો આ પ્રવાસ દીવથી જ પતાવી અમે પાછા અમદાવાદ તરફ નીકળી પડ્યાં...

પાછાં આપણી રોજબરોજ શરૂ...કામ કાજ અને નોકરીઓ.. એ જ ખરૂં...

પાછાં આવવાનું મન તો કોઈને ન થાય પણ...આવવું તો પડે જ ને...

તન અને મનથી એકદમ તાજાં થઈને હવે કામ તરફ વળવાનો પ્રયત્ન કરીશું ને...

Tuesday, June 22, 2010

સિંહને રાજા કેમ કહેવાય છે?

આપણે સિંહને જંગલનો રાજા ગણીએ છીએ..એનું કારણ ખબર છે? કારણ એ જ, કે સિંહ એવા ગુણો ધરાવે છે...

હમણાં બે દિવસ પહેલાં જ છાપાંમાં હતું કે ગીરનાં જંગલમાં સિંહણ રસ્તા પર આવી જતાં મોટરસાઈકલ સવારો ગભરાઈ ગયા...પણ સિંહણ કંઈ જ કર્યા સિવાય જતી રહી...

અને આજે છાપામાં એનાથી પણ જોરદાર ઘટના આવી છે...

ગુજરાતના સાસણની એક સિંહણ લંડનના કોઈ પ્રાણીસંગ્રહાલયમાં છે.તેના પિંજરામાં જ ઝાડ પર ઘુવડ્નો માળો...અને અચાનક ઘુવડનું બચ્ચું નીચે પડી ગયું,સિંહણની પાસે હજ!

સૌ એમ જ સમજ્યા કે તે બચ્ચાને ખાઈ જશે, પણ વાહ રે કુદરતની કરામત અને બચ્ચાની કિસ્મત, ત્રણ ત્રણ દિ' થયા છતાંયે સિંહણ તેને જોવાં છતાં પણ હાથ પણ ન લગાવે! ત્રણ દિવસ પછી બચ્ચું એની મેળે ઊડીને બહાર ગયું...

આને શું કહેવાય? સિંહની ઊદારતા કે પછી એને ભૂખ નહી હોય? કે "બચ્ચું બહું નાનું છે તો મારું પેટ નહી ભરાય" એવું વિચારીને એ બેસી રહી?

ના...એ એનો સ્વભાવ.. એનો ગુણ... કે નાનક્ડા જીવને એણે જવા દીધો એ જ મોટી વાત...

છે આપણામાં પણ આવો ગુણ? ના... પ્રાણીઓ ભલે મૂંગા હોય.. ઘણી વાર આપણને પણ મોટી વાત શીખવી જાય છે ને?

આપણે તો નાની નાની વાતોમાં પણ નથી સમજતા...તો મિત્રો, આમાંથી કાંઈક પ્રેરણા લઈશું ને?

Wednesday, June 16, 2010

વનિતા વનમાળીને કહે ...

વનિતા વનમાળીને કહે છે, સાંભળો છો ! તમને મારી સુંદરતા વધારે ગમે છે કે... મારું સુડોળ શરીર ?
વનમાળી કહે , મને... તારી... આ મજાક કરવાની આદત સૌથી વધુ ગમે છે... !
આભાર, શ્રી હર્ષદ બ્રહ્મભટ્ટ.

માનવ જ શ્રેષ્ઠ ...

ભાગવત કે રામાયણમાં જોઈએ તો દેવતાઓ કહે છે કે અમારાં દુ:ખ દૂર કરવા માટે
ભગવાન આપ અવતાર ધારણ કરો. દેવતાઓ માટે ભગવાન એટલે સંકટ સમયે ખેંચવાની
સાંકળ. જ્યારે જ્યારે સંકટ આવે ત્યારે દેવતાઓ ભગવાન પાસે દોડી જતા દેખાય
છે, પણ નિષ્કામ ભક્તિ નથી દેખાતી નથી એટલે માનવ જ શ્રેષ્ઠ છે. દાનવોને જે
દુર્લભ છે, દેવોને જે દુર્લભ છે એ માનવને સુલભ છે. આ સુલભતામાં માનવ પાસે
નિષ્કામ ભક્તિ છે અને સત્સંગ છે.
આભાર, શ્રી હર્ષદ બ્રહ્મભટ્ટ.

Tuesday, June 15, 2010

વરસાદી દિવસની સમી સાંજે...

આજે થોડો અલગ દિવસ હતો નહિ? મેઘરાજા સવારનાં પહોરમાં જ વરસી પડ્યા... અને દિવસે પણ આહલાદક વાતાવરણ બની રહ્યું...

સાંજ થઈ રહી છે...સૂર્ય ધીમે ધીમે પશ્ચિમમાં આથમી રહ્યો છે...

ગોધૂલી ટા'ણૅ... અહીં ભલે ગાયો કે ભેંસો જોવા નથી મળી... 
પણ આકાશની શોભા સુંદર બની રહી છે...

પક્ષીઓ પોતાનાં ઝૂંડ્માં ઊડીને ઘર તરફ જઈ રહ્યાં છે... ને આપણા જેવા નોકરીથી ઘરે!

થોડો બાફ છે...પણ કૂદરતની કરામતો જોઈને તે વિસરી જવાય છે...

વ્રુક્ષો એકદમ ચોખ્ખાં બની ગયાં છે... 

ઘરની નજીકનાં આંબા પર રે'તી કોયલ પોતાનાં સૂરો સંભળાવી રહી છે...

વિવિધ આકારનાં વાદળો જાણે ચિત્રમાં પેન્સિલથી શૅડ માર્યો હોય તેવી આક્રૂતી ઉત્ત્પન કરી રહ્યાં છે...

વાદળાંની વચ્ચેથી સૂર્યાસ્તનો આછો કેસરી અને પીળાશ પડતો પ્રકાશ પણ કૂદરતનીઅદભૂત રચના છે ને...

માણસ ગમે તે કરે.. તો પણ કૂદરતનાં અમૂક ગૂઢ રહસ્યોને નહી જાણી શકે કે નહી તેની બરોબરી કરી શકે...

વરસાદનું આગમન...

મિત્રો, આજે વરસાદનું આગમન થઈ ચુક્યું છે. 


મેઘરાજાએ ઘણા દિવસો સુધી આપણને ટલ્લાવ્યા... ગરમીની જ્વાળાઓથી આપણે ત્રસ્ત હતા પણ હવે આહલાદક્તાનો અનુભવ કરીશું.
આકાશમાં વાદળો ઘેરાયાં છે અને સરસ ઝાપટું પડી રહ્યું છે... એટલે હું મારી જાતને એને કેમેરામાં કેદ કરતાં ન રોકી શક્યો...

Saturday, June 12, 2010

જો પરંપરા જડ બની જાય તો ...

જો પરંપરા જડ બની જાય તો સમાજને ઉપયોગી થવાને બદલે અવરોધક બની જાય છે.
નદીનું પાણી સતત વહેતું રહે તો એ વ્યક્તિ તથા વસ્ત્રનો મેલ ધોવાનું કામ
કરે છે પરંતુ નદીની પ્રવાહી પરંપરા જડ બની જાય, એ પાણી બરફ બનીને થીજી જાય
તો બરફને વસ્ત્ર ઉપર ઘસવાથી વસ્ત્ર ફાટી જશે
આભાર, શ્રી હર્ષદ બ્રહ્મભટ્ટ.

Sunday, June 6, 2010

સંત પરંપરા ...

મહાત્મા બુદ્ધ, મહાવીર સ્વામી, રામકૃષ્ણ પરમહંસ, મહાત્મા
ગાંધી જેવા મહાપુરૂષોએ અહિંસાને પરમ ધર્મ ગણી જીવનભર તેનું આચરણ કર્યુ
હતું. જે બધા જ માનવોને પ્રેરણા આપતા રહે છે. મન, વચન અને કર્મથી કોઈને પણ
નુકશાન ન પહોચાડવું તે જ અહીંસા છે.

આભાર, શ્રી હર્ષદ બ્રહ્મભટ્ટ.

Saturday, June 5, 2010

(છેલ્લી એક તક આપી દે....)

રોજના જેવી જ એ સવાર હતી. મારે ઓફીસે જવાનું હતું.
આંગણામાં પડેલું છાપું ઉઠાવી મેં પહેલા અને છેલ્લા પાના પરના અગત્યના સમાચાર પર નજર નાંખી.
છેલ્લા પાના પર મારી તસ્વીર જોઈ હું ચોંકી ઉઠ્યો.
એ મારા અવસાનના સમાચાર હતા! મને એકદમ આઘાત લાગ્યો.
‘હા! કાલે રાતે સુતો હતો, ત્યારે છાતીમાં થોડુંક દુખતું હતું ખરું. પણ પછી તો હું ઘસઘસાટ ઉંઘી ગયો હતો ને?‘

હું ઘડીયાળ તરફ નજર કરું છું. ‘અરે! દસ વાગી ગયા છે?
મારી ચા ક્યાં છે? અરે! મારે ઓફીસ જવાનું કેટલું મોડું થઈ ગયું છે?
મારો બોસ મારી ઉપર ખીજાશે. બધાં ક્યાં જતા રહ્યાં? મારા આ રુમની બહાર બધા કેમ ભેગા થયા લાગે છે?’ ‘ અરે ! આટલા બધા લોકો? ચોક્કસ કાંઈક ગરબડ લાગે છે. અરે! કોઈક રડી રહ્યા છે. બીજા ચુપચાપ ઉભા છે.’
‘ અરે! આ શું? મારું શરીર તો ફર્શ પર પડેલું છે. અરે! બધા સાંભળો હું તો અહીં છું, એ શરીરમાં નથી.’
ક્યાં કોઈ મને સાંભળે છે! અલ્યાઓ! 'હું મુઓ નથી, જુઓ આ રહ્યો.’
મેં કરાંઝીને રાડ પાડી. પણ કોઈએ કશું સાંભળ્યું જ નહીં. કોઈને મારામાં રસ હોય તેમ ન લાગ્યું.
બધા નીશ્ચેતન પડેલા મારા શરીર તરફ શોકથી જોઈ રહ્યા હતા. હું ફરી મારા સુવાના ઓરડામાં ગયો.
મેં મારી જાતને પુછ્યું, ‘શું હું ખરેખર મરી ગયો છું?
અરે! મારી પત્ની, મારું બાળક, મારાં મા બાપ, મારા મીત્રો – બધાં ક્યાં છે?’
બાજુના ઓરડામાં ગયો, બધા ત્યા રડી રહ્યાં હતાં; એકમેકને આશ્વાસન આપી રહ્યાં હતાં.
મારી પત્ની સૌથી વધારે આક્રંદ કરી રહી હતી. તેને સૌથી વધારે દુખ થતું હોય તેમ જણાતું હતું.
મારા નાનકડા પુત્રને આ શું થઈ રહ્યું છે, તેની કાંઈ સમજણ પડતી હોય તેમ ન લાગ્યું.
પણ તેની મા રડી રહી હતી, એટલે તે પણ રડતો હોય તેમ લાગ્યું.
‘ અરે, મારા એ વહાલસોયાને હું બહુ જ પ્રેમ કરું છું, એમ કહ્યા વીના હું શી રીતે વીદાય લઈ શકું?
મારી પત્નીએ મારી કેટલી બધી સંભાળ લીધી છે, તેમ કહ્યા વગર હું શી રીતે મરી શકું? એક વાર તો એને હું કહી દઉં કે હું તેને અત્યંત ચાહું છું.
માબાપને એક વાર તો કહી દઉં કે હું જે કાંઈ પણ હતો તે તેમના કારણે હતો.
મારા મીત્રો વીના મેં જીવનમાં ઘણી ભુલો કરી હોત; એમ એમને કહ્યા વીના,
હું કઈ રીતે વીદાય લઉં? એ લોકોને મારી ખરેખર જરુર હતી, ત્યારે હું તેમના કશા કામમાં આવ્યો નથી;
એની દીલગીરી વ્યક્ત કર્યા વીના હું શી રીતે મરી શકું? જોને પેલા ખુણામાં કોઈક છાનાં આંસુ સારી રહ્યો છે.
અરે! એ તો એક જમાનામાં મારો જીગરી દોસ્ત હતો.
સાવ નાકકડા મતભેદ અને ગેરસમજુતીના કારણે અમે બે છુટા પડ્યા; અને અમારા અહમના કારણે કદી ભેળા જ ન થયા.’
હું તેની પાસે ગયો અને મારો હાથ તેની તરફ લંબાવ્યો.
મારે તેને મારી દીલગીરી સમજાવવી હતી. ફરી એના જીગરી બની જવું હતું. ‘મારા દોસ્ત! મને માફ કરી દે.’ એમ કહેવું હતું.
‘અરેરે! એને મારો હાથ દેખાતો નથી? એ કેવો નીષ્ઠુર છે?
હું આટલી સરળતાથી મારું હૈયું ઠાલવી રહ્યો છું, તો પણ એ હજી કેટલો અભીમાની છે?
ખરેખર, મારે આવા લોકો માટે લાગણીવશ ન થવું જોઈએ.
પણ એક સેકન્ડ. કદાચ એને મારો હાથ નહીં દેખાતો હોય?
ભુલ્યો! મારું શરીર તો બહારના ઓરડામાં પડેલું છે ને? ઓ ભલા ભગવાન! હું તો ખરેખર મરી જ ગયો છું.‘
હું મારા શબની બાજુમાં બેઠો. મને બરાબરનું રડવું આવી ગયું.
‘અરે મારા ભલા ભગવાન! મને બસ થોડાક દીવસ જીવતો કરી નાંખ.
હું મારી પત્ની, મારાં માબાપ, મારા મીત્રો એ બધાંને એક વખત સમજાવી દઉં કે એ બધાં મને કેટલાં વહાલાં છે?‘
એટલામાં મારી પત્ની મારી બાજુમાં આવી પહોંચી. એ કેટલી સુંદર દેખાય છે?
હું બરાડી ઉઠું છું, ’અલી એ! તું ખરેખર સુંદર છે!”
પણ એને ક્યાં મારા શબ્દો સંભળાય છે?
’મેં કદી એને એવા શબ્દો પ્રેમથી કહ્યા હતા ખરા?‘
હું મોટી ચીસ પાડી દઉં છું, ”અરે ભગવાન! મહેરબાની કરીને મને થોડોક સમય જીવતો કરી દે!‘
હું રડી પડું છું.
‘મને એક જ છેલ્લી તક આપી દે મારા વહાલા! હું મારા વહાલસોયા બાળકને ભેટી લઉં. મારી માને છેવટનું એક સ્મીત આપી દઉં.
મારા બાપને મારા માટે ગૌરવ થાય એવા બે શબ્દ એમને કહી દઉં. મારા બધા મીત્રોને મેં જે કાંઈ નથી આપ્યું,
એ માટે એમની દીલગીરી માંગી લઉં. મારા જીવનમાં હજી રહેવા માટે એમનો આભાર માની લઉં.’
મેં ઉંચે જોયું અને હું ચોધાર આંસુએ રડી પડ્યો. મેં ફરી એક પોક મુકી.
‘અરે પ્રભુ, મને છેલ્લી એક તક આપી દે, મારા વહાલા!’
---------------------------------------------------------------------------

મારી પત્નીએ મને હળવેથી જગાડ્યો અને વહાલથી કહ્યું,
"તમે ઉંઘમાં આમ કેમ રડી રહ્યા છો? તમને કંઈ થાય છે? તમને ખરાબ સપનું આવ્યું લાગે છે!”
‘અરે, હું જીવું છું. મારી પત્ની મને સાંભળી શકે છે. ‘
મારા જીવનની આ સૌથી સુખદ પળ હતી.
કાલે જ મરણ આવવાનું હોય એમ આજે જીવીએ તો?


I don't want to feel guilty after I will die. I don't want to apologize that I have not told that I love you. I don't want to apologize that I have not told my friends thanks for your helps. I would like to live today. Who knows what happen tomorrow. will tell u lots of if meet...otherwise chalate chalte mere ye geet yaad rakhana kabhi alavida na kahena..

Monday, January 12, 2009

હરિયાળી ગિર છે...

હરિયાળી ગિર છે રૂડી પવિતર પ્રેમ ઘેલુડી...

ડુંગરા ટોચે દીપતી કેવી સંધ્યા રૂડી સાંજ...

એ... લાલ પાઘડીએ લાડકો રૂડો વીર ઊભો વરરાજ, વાદળિયું વારણા લેતી જાનડિયું જાનમાં કે'તી...

વાયુ ઝપાટે ઝાડવાં ઝૂલે હાલતા હિંચક લઈ...

એ... જમના કાંઠે જાદવા સાથે ગોપીઓ ઘૂમી રઈ, શાદુળાની ડણકું થાતી જાણે જશોદાની છાશ ફેરાતી...

કેસુડાં કે'રી કળીયું ખીલી જાણે ઊગતો સૂરજ રૂખ,

એ... ડુંગરા ટોચે ચાંદલો ઊગ્યો જાણે શિવ શિરે ગંગમુખ,રીંછડીયું ડુંગરા ટૂંકે જોગી બેઠો ચલમું ફૂંકે...

Thursday, July 31, 2008

તસ્વીર : માઊંટ આબુ...

માઊંટ આબુ ભલે ગુજરાતમાં નથી,પણ ત્યાં સૌથી વધારે મુસાફરો આપણે જ્ હોઇયે છીયે!:)



એક એવું ગીરીમથક,જેને દરેક ગુજરાતીએ જોયું જ હોય!



એના વિશે વધુ વાત કરવાની તો જરૂર જ નથી ને?:)















Tuesday, July 29, 2008

તસ્વીર : પહાડોની ગોદમાં (તારંગા)...

આ તસ્વીરો મે થોડા દીવસો પહેલા તારંગામાં લીધી હતી.મને થયું કે તમને ગમશે.

પહાડોની વચ્ચે,ખેતરોની સાથે,ખુલ્લું આકાશ અને એ આકાશમાં સંધ્યા જામી હોય...
પંખીઓ પોતાનાં દેશ,પોતાનાં ગામ ભણી જતાં હોય...
મોર અને કોયલનાં કર્ણપ્રિય ગીતો તમને મોહી લેતાં હોય...ત્યાંથી જવાનું મન કોને થાય?

કુદરત એનુ જ નામ છે!