Tuesday, January 8, 2013

ગુજરાતનો ઇતિહાસ - ધૂમકેતુની "ચૌલુક્ય નવલકથાવલિ"...

ગરવી ગુજરાત વિશેની ઐતિહાસીક પુસ્તકો ફંફોળતા પહેલી જ વખતે ધૂમકેતુનુ પુસ્તક હાથ લાગ્યુ, અને થયુ કે એમા સોલંકી કુળનો ઈતિહાસ છેક ૭-૮મી સદીથી જોવા મળૅ છે.  પછી તો એક પછી એક એમના પુસ્તકો વાંચવા શરુ કર્યા બાદ, થયુ કે એનો સાર અને પુસ્તક વિશે Review લખવો જેથી વાચકમિત્રોને પણ એક નવુ સારુ વાચન ધ્યાનમા આવે.

તેમનુ લખાણ આપણને દશ્યની છેક અંદર ડોકિયુ અને ઘટનાની રુબરુ ઝાંખી કરાવનારુ બની રહે છે. વાચકો તેને અંતરથી અનુભવી રહે અને પોતે નજરો નજર નીહાળી રહે, તેની પૂરતી કાળજી રાખીને તેમણે એક એક દશ્યનુ લેખન કર્યુ છે. પછી એ પાટણ નગરી હોય, ધારા નગરી હોય કે ભોજરાજની 'સરસ્વતીકંઠાભરણ' ની સભા હોય, આપણને સ્વપ્નમાથી જીવંત થઈને નજર સમષ ઊભી રહેલી જ દેખાય.
ધૂમકેતુ ચૌલુક્ય નવલકથાવલિમા સમાવિષ્ટ થતા પુસ્તકો નીચે પ્રમાણે છે.

૧. પરાધીન ગુજરાત
૨,3. મૂલરાજદેવ - અને
૪. વાચિનીદેવી
૫. અજિત ભીમદેવ
૬. ચૌલાદેવી
૭. રાજસંન્યાસી
૮. કર્ણાવતી
૯. રાજકન્યા
૧૦. બર્બરકજિષ્ણુ સિદ્ધરાજ જયસિંહ
૧૧. ત્રિભુવનગંડ સિદ્ધરાજ જયસિંહ
૧૨. અવંતીનાથ સિદ્ધરાજ જયસિંહ
૧૩. ગુર્જરેશ્વર કુમારપાળ
14. રાજર્ષિ કુમારપાળ 
15. નાયિકાદેવી 
16. રાય કરણ'ઘેલો 

૧. પરાધીન ગુજરાત
૭-૮મી સદીમા ગુજરાતના પંચાસરનો રાજા જયશિખરિ, યુદ્ધમા પડે છે અને ગુજરાત પર દક્ષિણના રાજાનો રાજ જમાવે છે. એ વખતે રાજાના રખેવાળો અને સેનાપતિઓ કોઇ રીતે રાજકુમાર વનરાજ ચાવડાને બચાવે છે અને કેવી રીતે વનરાજ ચાવડો જંગલમા રખડીને પણ પોતાનુ રાજ પાછુ મેળવે છે એની વાત છે. એનો ખાસ મિત્ર, અને રાજમાતાની અંગત નારીદળની સેનાપતીનો પુત્ર અણહિલ (જે 'અણહિલ ભરવાડ' ને નામે પ્રચલીત થાય છે, ખરેખર રાજ્પૂત જ હોય છે). વનરાજ યુદ્ધ જીત્યા પછી પોતાના નહિ પણ અણહિલના નામે સરસ્વતી નદીને કાંઠે એક નગર વસાવે છે, જેને "અણહિલપૂર પાટણ" એવુ નામ અપાય છે.

૨,3. મૂલરાજદેવ - અને
ચાવડા વંશજ વીર ચાપોત્કટ (ચાપ+ઊત્કટ=ધનુર્વિધ્યામા નીપુણ, ચાવડા બાણાવળી કહેવાતા..), તેનો ભાણેજ એ મૂલરાજ સોલંકી જે મામાને ત્યા રહીને ઉછરે છે. મામો પાટણનુ રાજ તો ચલાવે છે, પણ રાજા તરીકે પોતાની ફરજો પ્રત્યે સભાન નથી. મૂલરાજ્દેવ મામા સામે યુદ્ધ કરી અને પ્રજાને ખાતર તેનો વધ કરીને પાટણનુ રાજ પોતે લે છે અને પાટણને સમર્થ બનવવા પ્રયત્નો કરે છે. નડૂલની રાજકુમારી માધવી, ખેરાલુનો રાણો જેહુલ અને બીજા પાટણપ્રેમી ચાવડાઓ તેને સાથ આપે છે. તે માધવી સાથે લગ્ન કરે છે.

પાટણનુ નવુ-સવુ રાજ્ય, એનો નાનો એવો વિસ્તાર પણ મૂલરાજદેવ ખૂબ મહત્વાકાંક્ષી હોય છે. તેને હરાવવા તૈયાર બેઠેલા કચ્છનો લાખો ફુલાણી અને જુનાગઢ્નો ગ્રાહરિપુ (તે વખતનો જુનાગઢ્નો રા'). મૂલરાજદેવ સાહસ પર સાહસ કરે છે, સાંભરરાજને તત્કાલિક પોતાની મુત્સદીગીરી અને સાહસિકતાથી મનાવી, તે યુધ્ધ પાછુ ઠેલી એકીસાથે ફુલાણી અને ગ્રાહરિપુ (જે બન્ને એકબીજાના ખાસ મિત્રો હોય છે અને યુધ્ધના જ શોખીન હોય છે.) સાથે દ્વંદયુધ્ધ કરે છે. બન્નેને હરાવે છે, ફુલાણીને હણે છે અને રા' ને વશ કરે છે. 

તેનો પાટવી ચામુંડરાજ, જે ગજશાસ્ત્રનિપુણ છે, યુધ્ધમા અદભૂત શૌર્ય બતાવે છે. એ સાથે જ પાટણનુ મહત્વ, જવાબદારી અને દુશ્મનો વધે છે. વિસ્તારની સાથે સાથે પાટણને કુનેહ પણ રાખવી પડે છે કારણ કે હજુ તો માંડ પહેલુ પગલુ, જ્યા એ કોઇ મોટા રાજ્ય સાથે યુધ્ધ વિચારી જ ન શકે.

મૂલરાજ સિધ્ધ્પુરમા રુદ્ર્મહાલય બંધાવે છે અને અંતે મૂલરાજદેવને પોતાના મામાની હત્યા દેખાતા પ્રાયશ્ચિત સ્વરૂપે અગ્નિસ્નાન (દર્ભાસન પર બેસી ઘી થી સ્નાન કરી પધ્માસનમા બેસીને પગના અંગુઠેથી અગ્નિને પ્રવેશ કરાવે) કરે છે.

૪. વાચિનીદેવી
વાચિનીદેવી અને ચામુંડરાજ, મૂલરાજદેવના બે સંતાનો છે. અહી કેવી રીતે વાચિની પોતાના ભાઈને પાટણની પ્રજા અને મહત્તા ખાતર એક નર્તિકાની પાછળ ન પડીને રાજકાજમા ધ્યાન આપવા સમજાવે છે. છેવટે, તેના સઘળા પ્રયત્નો વ્યર્થ જતા તે ચામુંડને પદભ્રષ્ટ કરી, ભત્રિજા દુર્લભરાજને રાજ સોંપે છે તેની વાત છે. તે બતાવે છે કે રાજનીતીને ખાતર સંબંધો પણ ભૂલવા તે તૈયાર છે અને પાટણથી ઉપર કોઇ નથી.  

અહી નાગદેવ, યોગરાજ અને દુર્લભરાજ ચામુંડના ત્રણ પુત્રોનો પ્રવેશ થાય છે, નાગદેવનો પુત્ર જ ભીમદેવ જે ખૂબ સાહસીક છે. પાટણના ભવિષ્યના અમાત્ય દામોદર પણ અહી જ સોમનાથથી પાટણમા આવીને પોતાનુ મહત્વ વધારે છે, પાટણ અને એની પ્રજા માટે જ નહી કે પોતાના અંગત સ્વાર્થ માટે.

૫. અજિત ભીમદેવ
દુર્લભરાજ સન્યસ્ત લે છે, ભીમદેવ ગાદી પર આવે છે. પણ એ સાહસીક ભીમદેવના માથે કાળી ટીલી જેવો આઘાત થાય છે જ્યારે મહમ્મુદ ગઝની ગુજરાત પર યુધ્ધ લાવે છે. ભીમદેવ સોમનાથમા નીડર બનીને યુધ્ધ આપે છે,પણ વિધાતાની રીત કે તેને પોતાના લોકોને બચાવવા અને ફરી પાટણને સમર્થ કરવા પોતાની ઈચ્છા વિરુધ્ધ સંતાવુ પડે છે.આસપાસના રાજ્યો-માળવા, લાટ(ભરુચ પછીનુ ગુજરાત), અર્બુદમંડ્લ (આબુ), શાકંભરી વગેરેથી સંભાળીને ભીમદેવ ગઝનીને હંફાવવાનુ નક્કી કરે છે

૬. ચૌલાદેવી
પાટણનો રાજા ભીમદેવ, ગઝનીને હંફાવી પોતાનુ સ્થાન મજબૂત કરવાની તૈયારીઓ કરે છે. તેનો મંત્રી દામોદર કુનેહથી પાટણને આગળ વધારવાના રસ્તાઓ શોધે છે, માળવાના ભોજરાજને હંફાવવા માટે યુક્તિઓ બનાવે છે. આબુ, નડૂલ અને લાટને વશમા કરે છે.  ભીમદેવ ચૌલાદેવી નામની નર્તિકાના પ્રેમમા છે અને દામોદરે એને રા' ની દીકરી ઉદયમતી સાથે પરણાવે છે. ભીમદેવ ચૌલાને મહારાણી બનાવે છે પણ ચૌલા પાટણ માટે પોતાના વારસો ગાદી નહી સ્વીકારે એવુ વચન આપે છે. એ ચૌલા પાટણ માટે મોટુ બલિદાન આપે છે એ વાત બહુ ઉંડાણથી વણી લેવાઈ છે.

૭. રાજસંન્યાસી
ભીમદેવના કાકા, દુર્લભરાજનો સહારો લઈને ગઝનીને ભોળવી તેને પાછો વાળવા ભોમિયા આપે છે જે ખોટા રસ્તે લઈ જાય છે. ભોમિયાઓ ગુજરાતને માટે મરી ફીટે છે અને ભીમદેવ ગઝનીના સૈન્યને હંફાવે છે. ગઝનીના ગુજરાતમા કાયમી પોતાનુ થાણુ અને ખંડિયુ બનાવતા અટકાવે છે ત્યારે ભીમદેવનો જયજયકાર થઈ રહે છે. દામોદર ચેદિ સાથે સંધી કરે છે અને માળવાને એ બધાના સાથથી હરાવે છે. ચેદિથી ડર્યા વગર એ તેમા પોતાનુ અને પાટણનુ મહત્વ સ્થપિત કરે છે.

૮. કર્ણાવતી
ચૌલ્ક્ય પરંપરા મુજબ ભીમદેવ સન્યસ્ત લે છે. તેની પાછળ દામોદર પણ સન્યસ્ત લઈ અને બધો કારભાર સાંતુ મહેતાને આપવાનુ નક્કિ કરે છે. પણ જતા પહેલા તે રાજસિંહાસનનો વારસ નક્કી કરે છે. ભીમદેવના બે પુત્રો, ઉદયમતીનો કર્ણદેવ અને ચૌલાદેવીનો ક્ષેમરાજ. ભીમદેવ ક્ષેમરાજને પરંપરા મુજબ રાજ આપે છે પણ ઉદયમતી પોતાના પુત્રને રાજા ઝંખે છે. કર્ણદેવ મોટાભાઈને જ રાજ આપવા કહે છે, પણ ક્ષેમરાજ પોતાના મા-વિહોણા પુત્ર દેવપ્રસાદને મુકીને સન્યસ્ત લે છે. અંતે દામોદર વિદાય લે છે અને સાંતુ મહેતા અમાત્યપદ સ્વિકારે છે. કર્ણદેવ રાજા બને છે અને કર્ણાવતી નગરીના બીજ રોપાય છે. તે વખતે આશાભીલનો ત્રાસ વધતો જાય છે,છેક સ્તંભતીર્થના (ખંભાત) દરિયાથી લઈ, સાબરમતીના જંગલો સુધી તેનો ત્રાસ રહે છે.

૯. રાજકન્યા
કર્ણદેવ પાટણનો રાજા છે. લાટ, માળવા અને કર્ણાટકનુ ભડકેલુ જણાય છે. સાંતુના ધ્યાનમા ગોપકપટ્ટનની (ગોવા) કુમારી (મિનળદેવી) આવે છે, જે કર્ણાટકના મંડલેશ્વર છે. સાંતુ પોતાના માણસોને ત્યા મોકલે છે અને મીનળદેવીને કર્ણદેવ અને ગુજરાત વિશે વિચારવા પ્રેરિત કરે છે. સોમનાથ પ્રત્યેની ભક્તી અને કર્ણદેવને મનથી વરી ચુકેલી મીનળ પાટણ આવે છે. તેને જોતા કર્ણદેવનુ મન દુભાય છે અને લગ્ન કરવાની ના પાડે છે. છેવટે બન્નેના લગ્ન થાય છે પણ કર્ણદેવ મીનળને બદલે નર્તિકામા પ્રેમ રાખે છે. કર્ણદેવ આશાભીલને નાથવા જાય છે પણ આશો ભાગી જાય છે, દેવપ્રસાદ કર્ણદેવનો ખડેપગે પ્રતિહારિ રહે છે. અંતે, કર્ણદેવ અને મીનળનુ મિલન થાય છે અને તેમને ત્યા ચક્રવર્તિ પુત્ર જન્મની આગાહી  સાચી પડવાની રાહ જોવાય છે.

૧૦. બર્બરકજિષ્ણુ સિદ્ધરાજ જયસિંહ
કર્ણદેવ અને મીનળનો પુત્ર સિધ્ધરાજ જયસિંહ ગાદી પર આવે છે. કર્ણદેવે કર્ણાવતી નગરની (હાલનુ અમદાવાદ)સ્થાપના કરી દીધી છે, જ્યા પહેલા આશાભીલનુ નગર હતુ ત્યા સાબરમતીને કિનારે. તે વખતે બર્બરક પોતાનો આતંક મચાવી રહ્યો છે. જુનાગઢનો રા' નવઘણ અને બર્બરક મળેલા હોય છે અને પાટણની વિરુધ્ધ ષડયંત્ર રચીને જયસિંહને હરાવવા ઈચ્છે છે. જયસિંહની દાદી, રાણી ઉદયમતીનો ભાઈ મદનપાલ બર્બરક સાથે મળેલો છે તે ખબર પડતા જયસિંહ મદનપાલને જનોઈવઢ કાપી નાખે છે અને એનો અંત આણે છે. આ વાત જાણતા નવઘણ આકળો થઈ જાય છે અને પાટણની વિરુધ્ધ પડે છે. જયસિંહ સાંતુ, મીનળ અને મંત્રીમંડળની સમજાવટ છતાં પોતાનો માર્ગ સ્પષ્ટ બતાવે છે કે તે જુનાગઢ, લાટ, માળવા કોઇથી ડરશે નહી અને સદા યુધ્ધ માટે તૈયાર છે.  જયસિંહ પાટણથી ભાગી રહેલા નવઘણને પકડે છે અને તેને બંધનમા મુકી દે છે, પણ તે જેમ-તેમ કરીને ભાગી જાય છે પણ પકડાઈ જાય છે.

તે દરમિયાન, બર્બરકની મેલી વિધ્યા વિશે સાંભળીને જગદેવ પરમાર મદદે આવે છે જે મહકાલીની ઉપાસનાથી 'અજિત્તાસિધ્ધી કંકણ' મેળવે છે જે જયસિંહ નજરોનજર નિહાળે છે. 'અજિત્તાકંકણ સિધ્ધી'ની ઉપાસના નજરે જોનાર પણ અજેય થઈ જાય છે એ જયસિંહ જાણે છે. બર્બરક સામે મલ્લ્યુદ્ધ કરીને જયસિંહ બર્બરકને વશ કરે છે અને તેનો વધ ન કરતા તેની પાસેથી આજીવન પોતાનો મદદગારને અનુચર બનવાનુ પાણિ લેવડાવે છે. ત્યારથી જયસિંહ 'બર્બરકજિષ્ણુ' ની ઉપમા પામે છે.

નવઘણનો દીકરો, રા' ખેંગાર પ્રતિજ્ઞા કરે છે  કે તે ચાર પ્રતિજ્ઞા પાળશે,
- પાટણનુ નાક કાપશે
- ભોયરાનો ગઢ ભાગશે.
- પાટણનો દરવાજો તોડશે
- મહીડાને મારશે.
ખેંગાર આ ચારેય પ્રતિજ્ઞા પૂરી કરે છે અને દેવડાની પુત્રી દેવડી, સોનલ દે, ને ભગાડી જાય છે. આ દેવડીને જયસિંહ પણ ઝંખતો હોય છે. દેવડી જુનાગઢ્ના રાણક સાથે રાણકની રાણી 'રાણક દેવી' બને છે. અને અહીંથી યુધ્ધની રણભેરી વાગે છે.

૧૧. ત્રિભુવનગંડ સિદ્ધરાજ જયસિંહ
સિધ્ધરાજ જયસિંહ ખેંગાર સામે જુનાગઢ યુદ્ધ લઈને જાય છે, એની વિશાળ સેના સામે કોઇ ટકી શકે તેમ નથી પણ જુનાગઢનો અજીત દુર્ગ વર્ષો સુધી ટકી શકે છે એ તેને ખબર પડતા સમય લાગે છે. સોમનાથની સાક્ષીએ એ પ્રજામા રહેલો રા' પ્રત્યેનો પ્રેમ અને વિશ્વાસ નિહાળે છે, પોતે રા' ને સમજાવે છે પણ રા' માને એવો નથી. રા' ની બહેન લીલી બા અને ભાણેજ પર સિધ્ધરાજ જયસિંહ અને મુંજાલ મહેતાની નજર છે.

રા' ને તો કોઈ વસ્તુનો ભય નથી એ એને સમજાય છે એટ્લે એ ખેંગારના ભાણેજ દેશળ-વિશળ ને સામ-દામથી વશ કરી દુર્ગમા દાખલ થવાનો માર્ગ ગોતાવી લે છે. જુનાગઢના અજેય દુર્ગને આ ભારે પડી જાય છે અને સિધ્ધરાજ જયસિંહ દુર્ગમા પ્રવેશી ખેંગારને દ્વંદયુધ્ધ આપે છે. ખેંગાર હારી જાય છે અને સિધ્ધરાજ જયસિંહ એને બંધક બનાવે છે.

સિધ્ધરાજ જયસિંહ રાણકદેવીને પાટણ લઈ જવાનુ ગોઠવે છે, પણ રાણકદેવી વગર રા' દેહ છોડે છે. તે સિધ્ધરાજ જયસિંહને પણ ગમતુ નથી, અને રા' ની પાછળ રાણકદેવી સતી થાય છે.

૧૨. અવંતીનાથ સિદ્ધરાજ જયસિંહ
સિધ્ધરાજ જયસિંહ હવે 'બર્બરકજિષ્ણુ' અને 'ત્રિભુવનગંડ' કહેવાયો છે, અને હવે તે પોતે અવંતિનાથ થવાના સ્વપ્ન જોઈ રહ્યો છે. અહી હવે બે પ્રશ્નો ઉભા છે,
- સિધ્ધરાજ જયસિંહનો વારસ કોણ, કોણ આ મહાન પરંપરા અને પાટણના રાજ્યને સંભાળી શક્શે?
- અવંતિને (માળવા) કેવી રીતે હરાવવુ?

ઉત્તરાધીકારી તરીકે સિધ્ધરાજ જયસિંહનો ભત્રીજો કુમારપાળ (ભીમદેવની બીજી રાણી ચૌલાદેવીનો પુત્ર ક્ષેમરાજ, તેનો દેવપ્રસાદ, તેનો ત્રિભુવનપાલ અને તેનો કુમારપાળ) જ છે અને સિધ્ધરાજ જયસિંહને પોતે પુત્ર જ નથી. સિધ્ધરાજ જયસિંહની પુત્રી કાંચનદેવી અજમેરના આનકરાજ સાથે પરણી છે, તેનો પુત્ર સોમેશ્વર ચૌહાણ (પ્રુથ્વીરાજ ચૌહાણ તે આ સોમેશ્વરનો પુત્ર છે.) અને કુમારપાળ બે વચ્ચે ગાદીનો પ્રશ્ન છે. 

આનકરાજ પાટણ પોતાના પુત્રને મળે તેવી ઈચ્છા ધરાવે છે અને ઉદયન મહેતા, કાક ભટ્ટ, ક્રુષ્ણરાજ વગેરે કુમારપાળના પક્ષના. ત્યા વળી ત્રિજો જણ નિક્ળ્યો, સિધ્ધરાજ જયસિંહના ભુવનેશ્વરી નામની એક નર્તિકા સાથેના સંબંધ તરીકે તેનો પુત્ર ચારુભટ્ટ (ત્યાગભટ્ટ પણ કહેવાય છે) જે ગજશાસ્ત્રમા નિપુણ છે.

સિધ્ધરાજ જયસિંહ ત્યાગભટ્ટ સાથે કાંતિનગરી જઈ માળવાનો દક્ષિણી દરવાજો તોડવા માટે વિશાળકાય હાથી લઈ આવે છે, ત્રણ હજાર હાથીઓમાથી ત્યાગભટ્ટ શ્રેષ્ઠ હાથીને પસંદ કરી લે છે અને તેના સહારે અવંતીનો દ્વાર તોડે છે. ઘોર યુધ્ધ થાય છે, સોલંકી અને પરમાર યોધ્ધાઓ શોણિતભીના શરીરમા થતા દુખ ભૂલીને અંતિમપળ સુધી લડે છે પણ અવંતિવિજય કરીને સિધ્ધરાજ જયસિંહ પાટણ પાછો ફરે છે, અવંતીના રાજા યશોવર્મા અને તેના પુત્ર જયવર્માને કેદ કરી સાથે લાવે છે.

કુમારપાળ ભાગતો ફરે છે કારણકે કાકા સિધ્ધરાજ જયસિંહને તે ભાવતો જ નથી. હજુ પણ ઉત્તરાધીકારીનો પ્રશ્ન તો એમ નો એમ જ છે, કારણ કે રાણી લક્ષ્મીદેવી ત્યાગભટ્ટ્ની વાત ઉદયન મહેતા દ્વારા જાણે છે અને તેનો વિરોધ કરે છે. હજુ તેને અને સિધ્ધરાજ જયસિંહને આશા છે કે સોમનાથ ભગવાનની ક્રુપાથી તેમને ત્યાં પણ પુત્ર થશે જ...

૧૩. ગુર્જરેશ્વર કુમારપાળ
સિદ્ધરાજ જયસિંહ મૃત્યુ પામે છે...રાજાના મૃત્યુથી શોકગ્રસ્ત અને નિસહાય-નિરાધાર, કદાચ અનાથ કહો તો પણ અતિશયોક્તિ નથી, થયેલી પાટણ નગરી અને એના પ્રજાજનો નજર સમક્ષ ઉભા રહે છે. સાથે જ એ ચિંતા પણ છે કે સિદ્ધરાજ જયસિંહ જેવા, સાક્ષાત વીર વિક્રમના બીજા અવતાર સમા મહાન, રજાનો વારસો કોણ આગળ વધારશે અને કોણ આ મહાન ગુર્જરદેશને આસપાસના રાજ્યોથી રક્ષણ આપીને ટકાવી શકશે?

સિદ્ધરાજ જયસિંહના વારસદારોમાં ત્રિભુવનપાલના ત્રણ પુત્રો, યશપાલ-મહિપાલ અને કુમારપાળ, સિદ્ધરાજ જયસિંહનો પ્રપન્ન પુત્ર ત્યાગ્ભટ્ટ, સિદ્ધરાજ જયસિંહની પુત્રી કાંચનદેવીનો પુત્ર સોમેશ્વર ચૌહાણ છે.

સિદ્ધરાજ જયસિંહના મૃત્યુ પછી એમની પાદુકાઓ સિંહાસન પર મુકેલી છે અને નવો વારસ નક્કી કરવા રાજ્સભાનું આહવાન થાય છે. કુમારપાળને રોકવાના અથાક પ્રયત્નો છતા કુમારપાળ ત્યાં આવે છે અને ઉદયનની મદદથી રાજા બને છે.

આનક રાજ સામે યુદ્ધ થાય છે એમાં કુમારપાળ વિજેતા થાય છે. અજમેર હારે છે અને પાટણ જીતે છે. આનક રાજની પુત્રી જલ્હણા સાથે કુમારપાળના બીજા લગ્ન થાય છે અને પાટણની સત્તા મજબૂત બને છે, સ્થિર રહીને કુમારપાળ એને આગળ ધપાવશે એવી પટ્ટણીઓને ખાતરી થાય છે.

14. રાજર્ષિ કુમારપાળ
કુમારપાળ પાટણમાં રાજય કરે છે. પણ તેના ભત્રીજા અજયપાલ સાથે આંતરિક ઘર્ષણને લીધે પાટણમાં એક જાતની ભયંકર પરિસ્થિતિ ઉભી થાય છે જેનો લાભ દુશ્મનો કોઈ પણ ક્ષણે ઉઠાવી શકે છે. અહી ઉદા મેહતા કુમારપાળને મદદ કરે છે અને ઘર્ષણ અટકવાના બધા ઉપાયો કરે છે.

અહી જ ગુરુ હેમચંદ્રાચાર્યનો પ્રવેશ થાય છે. મંત્રી અને શ્રેષ્ઠીઓનો આગ્રહ રાજા અમારિ (પશુ પક્ષીઓનો વધ, મધ્ય-માંસ વગેરે અટકાવવું) ઘોષણા કરે એવો છે અને એ રીતે જૈન ધર્મ પ્રબળ બને એમ તેઓ ધારે છે, પણ ગુરુ એમ થતું અટકાવે છે અને ધીરે ધીરે લોકોના મન-મસ્તિષ્કને સમજાવે છે. અહી કુમારપાલના બે ધર્મો વચ્ચે પોતાના રાજ્ય અને પ્રજાની સુખાકારી માટે, પાટણ ટકે એ માટેનાં પ્રયત્નો ખુબ સરળતાથી સમજાય છે.

છેવટે રાજા દોહિત્ર પ્રતાપમલ્લ, જે રાજા થવા નથી ઈચ્છતો, એની બદલે ભત્રીજા અજયપાલને જ રાજ સોંપવાની વાત વિચારે છે.

15.નાયિકાદેવી 
કુમારપાળનો ભત્રીજો અજયપાલ રાજા બને છે. અહી એ સ્પષ્ટ નથી કે કુમારપાળ કેવી રીતે મૃત્યુ પામે છે, પણ એવું જણાય છે કે  અજયપાલે તેને હણ્યો હશે કારણકે કુમારપાળ જૈન ધર્મ માટે થઇને પાટણમાં ફેરફારો કરે છે જે આપણે આગળ જોયું.

કુમારપાળના મૃત્યુનો બદલો લેવા તેના સેવકો અજયપાલને હણી નાખે છે. અજયપાલના બે પુત્રો, મૂળરાજ અને ભીમદેવ, વ્યાકુળ થઇ ઉઠે છે. ભીમદેવ પિતાનો બદલો લેવા કઈ પણ કરવા તૈયાર છે પણ નાયીકાદેવી તેને સમજાવે છે, રોકે છે અને પાટણની દોર પોતાના હાથમાં લે છે.

તે સમયે પાટણના સામંતો અને માંડલીકો ફાયદો ઉઠાવવા તૈયાર છે, પણ નાયીકાદેવી રાજનીતિ જાણે છે માટે કોઈ ચસકી શકતા નથી.

અચાનક, મુલતાનથી ગર્જનક (શાહબુદ્દીન ઘોરી) આવી રહ્યો છે એવા સમાચાર મળે છે અને ગુજરાતના ગુપ્તચરો એની ખબર કાઢવા ચાલી નીકળે છે. અજમેર જઈને તેઓ ગર્જનકની ખબર આપે છે અને એનો રસ્તો કયો છે તેની ભાળ મેળવી લે છે. પાટણનો ભીમદેવ અને અજમેરનો પૃથ્વીરાજ ગર્જ્નક સામે લડવા તૈયાર છે.

નાયીકાદેવી પોતે પાટણના સૈન્યને યુદ્ધમાં દોરે છે, ગર્જ્નક સામે ભયાનક યુદ્ધ થાય છે. પૂરતી તૈયારી અને સાહસી સેનાના ભયંકર આક્રમણથી ગર્જ્નાકની સેના હારી જાય છે અને ભાગે છે.

છેવટે નાયીકાદેવી વિચાર કરે છે, કે તેના પછી તેના પુત્રોની જોડે કોણ ઉભું રે'શે? કોણ પાટણની દેખભાળ કરી શકે એવું છે અને કોણ આવડું મોટું રાજ્ય સાચવીને રક્ષણ કરશે? કોણ ભારતવર્ષની આ સરહદનો પેહરેગીર બનશે અને ગુજરાત દેશનો સીમાડો સાચવશે? મૂળરાજ બીમાર છે અને ભીમદેવ જ રાજા બનશે, પણ ભીમદેવની રણઘેલી યોધ્ધાની મહત્વાકાંક્ષા પાટણને ક્યાં સુધી સાચવી શકશે એ ચિંતા એના મનમાં ઘર કરી ગઈ છે, એ રાજનીતિમાં કેવી રીતે ટકશે એ પ્રશ્ન એને સતાવે રાખે છે.

16. રાય કરણ'ઘેલો

Thursday, July 12, 2012

જાહેરખબરોની ઇન્દ્રજાળ ...

મિત્રો, જાહેરખબર ખરેખર શું છે? 

એક રીતે જોઈએ તો દરેક કંપની પોતાની વસ્તુઓ વિષે જનતાને માહિતી આપે એને જાહેરખબર કહેવાય.
પણ હકીકતમાં જોઈએ તો ખબર પડશે, કે પોતાની ચીજો વેચવા માટે તેઓ કોઈ પણ સ્તર સુધી શકે છે.

જેમકે, 

Bournvita, horlics  વગેરે વાળા એમ કહે છે કે નાના બાળકોને વધવા માટે જરૂરી જ છે. Horlicks તો ત્યાં સુધી કહે છે, કે "दूध की शक्ति बढ़ाये ". આ શું છે? એક દમ જુઠું, એવું તે વળી તેઓ શું ભેળવે છે, જે દૂધની શક્તિ વધારે? 

કોઈ ચોકલેટ, ક્રીમ ,શાવિંગ ક્રીમ વાળા એમ કહે કે એ વાપરવાથી તમારી સ્ત્રી મિત્રો વધશે. આ તો નૈતિક રીતે પણ ખોટું જ છે, જેને આપણી સરકાર રાષ્ટ્રીય ટેલીવિઝન પર બતાવે છે!

શેમ્પૂ અને સાબુ વાળા એમ કહે છે, કે એનાથી 100% રોગ નાબુદ થશે!  અલ્યા, 50 વર્ષ કે 500 વર્ષ પહેલા કયું શેમ્પૂ કે સાબૂ હતો, જેનાથી લોકો તંદુરસ્ત જીવન જીવતા હતા?

આ યાદીનો કોઈ અંત જ નથી, કદાચ ભરીયે તો પાનેપાનાં ભરાય... વસ્તુ એ છે, કે આપણે શું કરીએ છીએ? બહુ સીધી વાત છે, જરૂર હોય તો પણ જે વસ્તુ નાહકની હોય, તો એની જરૂર વિષે પણ વિચારવું રહ્યું. 

બજારમાં મળતી બધી વસ્તુઓ જે પણ કહે (કે કહેવડાવે )  તે કશું સાચું નથી જ એના વિષે આપણે જ વિચારવું પડશે...અહી કાઈ નિર્લેપ થવાની કે વૈરાગ્યવાળી વાત નથી, સાચી સમજણથી વિચારીને એને આચારમાં મુકવાની વાત છે...

Tuesday, March 20, 2012

માન...

માન એ બહુ કીમતી વસ્તુ છે. કીમતી એ રીતે, કે એનો અર્થ સાદો છે પણ મર્મ ઘણો ઊંડો છે! માનની સામે ગુમાન મુકવું પડે, ગુમાન અને માન બંને સાથે નો રહી શકે. જેને માન મળે,એ વ્યક્તિએ માનને લાયક બનવા ઘણું બધું સહન કર્યું હોય, ગુમાવ્યું હોય. માન એ કુળની ખાનદાની છે…મરદની ઓળખાણ છે અને વ્યક્તિની ખુમારી છે!

પેલું કેવાય છે ને, કે "પર્વત ઉપર ચડવું સહેલું છે પણ ઉપર ટકી રહેવું એ અઘરું છે. એ જ રીતે, માન સાચવવું એ તો એનાથી પણ અઘરું છે. એની માટે નમ્રતા, વિવેક, સદબુદ્ધિ અને શાણપણનો સંગાથ કરવો પડે. ઉતાવળ અને ક્રોધનો નેડો મેંલવો પડે...

Monday, March 14, 2011

છેલ્લા મહિનામાં અંતરમનમાંથી ઊભરાયેલા શબ્દોની માળા...

જેમ ટોચ પર બેઠેલો કાગડો કડી ગરુડ બનતો નથી...
તેમ યોગ્યતા વગરનો માણસ સ્થાન નિભાવી શકતો નથી...

વાતોના વડા કરનારા લોકો અહીં બહુ છે આસપાસ...એમને આવડે છે .. બસ આજ ખાસ!

દિમાગનું દહીં... અને મગજના ભજીયા...
જરૂર પડી ત્યારે જ પ્રભુને ભજયા?

गुनाह वो नहीं ...जो कायदा और क़ानून तोड़ दे...
गुनाह वो है .. जो ...
दिल, रिश्ते और प्यार की लडियां तोड़ दे...
ज़मीर और ईमान की कड़ियाँ तोड़ दे...

ઈચ્છા એ દુખની માં છે...અને અપેક્ષા એ દુખની માસી! બંને સરખી જ છે...ફરક માત્ર એ છે... કે ઈચ્છા અંદરથી આવે છે.. અને અપેક્ષા બદલામાં!

દુખ અને સુખ જેવું કઈ કદાચ હોતું નથી...
માણસ પરિસ્થિતિને એમાં પરિવર્તિત કરે છે પોતાની માનસિક અવસ્થાને કારણે!
કઠીન પરિસ્થિતિમાં સહન કરનારા લોકો જીતે છે પોતાની ધીરજને કારણે!

કાલની ચિંતા કરવી જોઈએ... પણ એટલી બધી નહિ કે તમારી 'આજ' નો કાઈ મતલબ ના રહે! અને એમ તો ચિંતા ચિતા સમાન...અને ચિંતામાંથી બાર આવવાના રસ્તા છે....પણ...ચિતામાંથી...?

Friday, December 24, 2010

મજુર નથી

હુ હાથ ને મારા ફેલાવુ, તો તારી ખુદ્દાઈ દુર નથી,

હુ માગુ ને તુ આપી દે, એ વાત મને મજુર નથી,

નાઝીર દેખઇયા

ભુલ નિક્ળી

કાઇ પણ નથી લખાણ છ્તા ભુલ નિક્ળી,

કેવી વિચીત્ર પ્રેમ ની કોરી કીતાબ છે.

Mariz

Saturday, December 11, 2010

સિંગાપોરની મુલાકાત: એક સરવૈયું...અને મનની વાતો...

સિંગાપોરમાં આવે વખત થયો...ઓક્ટોબરથી અહી આવેલો.. અને હવે પાછો જઈશ, ત્યારે બે મહિના પૂરા થશે. લખવાની ઈચ્છા તો ઘણા સમયથી હતી, પણ કામના ભારણને લીધે એ શક્ય ન બન્યું...

અહીની પ્રવાસની વાતો તો બહુ મળશે તમને, અને અહી વિષે જાણવું પણ સરળ છે. આજે Internet નાં માધ્યમને લીધે તમે પ્રવાસ શરુ કરતા પહેલા જ બધું જાણી શકો છો...અહી આપણે એની વાત નથી કરવાના... :)

અહી આવીને શરૂમાં તો બધું ખૂબ અજાણ્યું લાગ્યું. નવા લોકો, નવો દેશ, નવી રીતો... અને નવું નવું જોવાનું અને જાણવાનું. અરે, પહેલા અઠવાડિયે તો સૌથી મોટો ત્રાસ જમવાનો નડ્યો..કારણકે અહી સાત્વિક શાકાહારી હોટેલ શોધવી પડે એમ હતું... પણ ધીરે ધીરે બધું થાળે પડી ગયું. વાતાવરણ તો ગરમી અને હૂંફાળું, એટલે એમાં આપણને લોકોને તકલીફ ઓછી પડે.આ દેશ હશે મુંબઈથી પણ નાનો કદાચ, પણ બધું ખૂબ જ વ્યવસ્થિત.

પણ પેલું કે છે એમ,"નવી વહુ નવ દા'ડા". બધું દૂરથી જોઇને સારું સારું લાગે, ફરવાની પણ મજા આવે, પણ વધારે સમય ઘરથી દૂર રહેવાનું આવે ત્યારે જ ખબર પડે.એક તો અહીના લોકોની રીતભાત જ અલગ! અહી કોઈ બસ કે ટ્રેઈનમાં પણ બાજુમાં બેઠેલા જોડે વાત ના કરે કે ન તો કોઈ પ્રતિભાવ આપે! અરે ઉપરથી બધા પોત-પોતાના iPod/iPhoe/iPad/Games એમાં જ વ્યસ્ત રહે. અરે ટ્રેઈન માં જઈએ તો લાગે કે આપણે એકલા જ મુસાફરી કરીએ છીએ!કોઈ અવાજ નહિ, ભલે ચિક્કાર ભરેલી ટ્રેઈનમાં પગ મૂકવાની એ જગ્યા ન હોય...!અને સાલું આપણા  જેવા લોકો, કે જે માણસોથી જ ટેવાયેલા હોય, વાતો કરવાની આદત હોય, મિત્રો વગર સવાર જ ન પડતી હોય, એની તો જે હાલત થાય? એ તો જયારે થાય ત્યારે જ ખ્યાલ આવે ને :).

જેમ જેમ કામમાં વ્યસ્તતા થતી ગઈ, એમ સમય પણ નીકળતો ગયો. અને આજે હવે પાછા  જવાનો વખત આવ્યો ત્યારે નક્કી કર્યું કે આ બે મહિનાનું સરવૈયું શું કાઢવું? એ જ, કે "ધરતીનો છેડો એટલે ઘર". આમાં હું કાઈ નવી વાર્તા માંડતો નથી યાર, આપણે બધા આ વાત જાણીએ અને સમજીએ છીએ..છતાં અવગણતા તો નથી ને, એ આપણે જોવાનું છે. ગમે તેમ કાંદા કાઢો, તો એ છેલ્લે તો ઘરે જ જવાનું છે એ વાત યાદ આવતા એક અનેરી "હાશ!" અનુભવાય છે...

અહી આવીને મેં બીજા દેશોમાં જઈને ત્યાં પ્રમાણે પોતાની રીતભાતો (એટલે નહિ કે કપડા, પણ સંસ્કાર, નીતિ-નિયમો અને ખાધાખોરાકી વગેરે) બદલીને Foreigner થઇ ગયેલા દેશીઓ જોયા છે... અને અહીના લોકો કરતા પણ વધુ અહીના હોય એવો દેખાડો કરતા હોય છે.અને પોતાના દેશનું નામ આવતા જાત જાતના બહાના કાઢે, કે "અહી તો બધું સરસ છે.. public transport સારું છે.. બધે AC છે... બહુ જ safe છે...લીલોતરી કેટલી છે?.." અને કૈક કેટલાયે બાના...મે યાદ ય નથી બોલો શું કહું હવે :)

પણ એને કહીએ ભાઈ, મુદ્દાની વાત કર કે તું અહી ડોલર ભેગા કરવામાં મજૂરી કરે છે...અને તને ત્યાં દેશમાં કદાચ જવાબદારી નહિ લેવી હોય ઘરની?કે કાંતો તને ત્યાની હરીફાઈમાં મજા નથી આવતી? તને દેશની ઠંડી, ગરમી અને ચોમાસું યાદ નથી આવતા...તને નવરાત્રી, દિવાળી, હોળી, ઉતરાણ, રમજાન, ઈદ... અરે ગણ્યા ગણાય નહિ એટલા તહેવારો છે, જે છાશવારે આપણને નવી ઉમંગ અને નવું જોમ આપે છે.. એ નથી ગમતું...કે તને તારા મહોલ્લા/સોસાયટીના ગલ્લે ગપ્પા મારવા નથી ગમતા? કે ત્યાની બજારમાં મળતી ચટપટી વાનગીઓ નથી ભાવતી? તારા મિત્રો નો સાથ કરતા તને એકલવાયું જીવન સારું લાગે છે? કે તને તારી માં-બાપે લાવેલી બાયડી નથી ગમતી?કે પછી ખુદ એ માં-બાપ જ બોજો લાગે છે જેના લીધે તું આજે આ જગ્યાએ છે? ઘણું બધું હોઈ શકે છે મિત્રો...અને એવું મને તો કઈ નથી લાગ્યું, કે જેના લીધે આટલું બધું છોડીને એકદમ સરળતાથી કોઈ ઘરથી દૂર આવી જાય!

હોય, કોઈ કોઈને પૈસાની સમસ્યા મારે આવવું પણ પડે. પણ થોડાક વર્ષોમાં  (મારો મતલબ ૨ થી 5 વર્ષ જ) ત્યાં જતા કેમ નથી રહેતા તો? પણ અહી આવીને ધીરે ધીરે માયા વધતી જાય...અને ખુદ ભગવાને કહ્યું છે એમ, માયા કોઈને મૂકતી નથી.. અહી વસાવેલું બધું મૂકીને તો કેવી રીતે ઉડે પાછા? એટલે બસ, પછી NRI થઇ જવાનું.. અને ખરેખર તો ધોબીના.......... નહિ કહું તો એ સમજી જ ગયા હશો :) અને પછી વર્ષે દા'ડે દેશમાં આવીને નાટકો કરવાના... કે મને તો આ ના ચાલે,, તીખું નાં ચાલે... પાણી સાદું તો નાં જ પીવાય...અરે એ તો બધા જાણે જ છે કે કેવા કેવા નાટકો થતા હોય છે :)

છેલ્લે એક જ વાત કહીશ...કે ઘરે ન રહી શકો તો કઈ નહિ, પણ જ્યાં જશો ત્યાં જ ઘર બનાવી દેશો, તો પછી પોતાના ઘરે ક્યારે જશો? અહી ઘરનો મતલબ તમે સમજી જ ગયા હશો... ઘરનો મતલબ એટલે ખાલી પોતાના ઘરના જ નહિ, પણ સગા-સંબંધી, મિત્રો, પાડોશી અને એવી કેટલીયે વાતો જે તમને ખરેખર ઘર શું છે અને ક્યાં છે તે યાદ અપાવ્યા કરશે...મળશે તમને અહી તમારા બાળપણના મિત્રોની કે ગામડાની માટીની સુગંધની યાદો? અરે તમે દેશમાં રહીને પણ વતનના ગામડે ઓછા જતા હોવ, તો વિદેશી થઈને તો... જરૂર છે મારે કઈ કહેવાની?

જિંદગી એક જ છે... નક્કી આપણે કરવાનું છે... કે શું જોઈએ છે....