Tuesday, March 5, 2013

મહાભારતનું ચિંતન : સ્વામી સચ્ચિદાનંદ

આજે ઘણા સમય પછી કઈક લખવાનું મન થયું, ત્યારે સૌપ્રથમ વિચાર આવ્યો કે છેલ્લે વાચેલું પુસ્તક કયું છે? અને એના વિષે થોડી વાતો કરીએ જેથી બીજા મિત્રો જેમને ખબર નથી તેઓ પણ એનો લાભ ઉઠાવી શકે।

"મહાભારતનું ચિંતન" એટલે ગીતાનો યથોચિત અનુવાદ, જે શ્રીકૃષ્ણનાં વિચારોને સાર્થક કરે છે। જ્યારે અર્જુન યુધ્ધમાં થાકીને સન્યાસીની જેમ વાતો કરે છે, પોતાના હથિયારોનો ત્યાગ કરવાની પલાયનવાદી માનસિકતા પ્રકટ કરે છે ત્યારે શ્રીકૃષ્ણ તેને એમ કરતા અટકાવે છે। એ માટે તેઓ અર્જુનને જે કર્મનો અને મનુષ્યજીવનનાં કર્તવ્યોનું જ્ઞાન આપે છે તે જ ગીતા છે।

અર્જુન પોતાના બાંધવો-સગાવહાલાઓ સામે યુદ્ધ કરવાની માની એવું બહાનું ધરીને કરે છે, કે લોકો મને શું કહેશે। લોક્લાજથી ડરીને તે યુદ્ધ છોડીને ભાગવાની વાત કરે છે।ત્યારે શ્રીકૃષ્ણ એને સમજાવે છે, કે લોક્લાજથી પણ મોટું કર્તવ્ય પાલન છે।જો ક્ષત્રીય પોતાનું હથિયાર મૂકી દે, તો એ કર્તવ્યનો ત્યાગ થયો કહેવાય। એને પોતાના રાજ્ય, પ્રજા અને શાંતિ માટે શાસ્ત્રો ઉઠાવવા જ પડશે, એના વિના શાંતિ નહિ સ્થપાય। 

"દંડ વગર શાંતિ શક્ય નથી" એવું સમજાવીને તેઓ કહે છે, કે દુષ્ટ લોકો સામે યુધ્દ કરવું એ રાષ્ટ્રના અને પ્રજાના હિતમાં છે . તેની સામે ડાહી ડાહી વાતો કરવાથી કહી નહિ ઉપજે અને ઉપરથી તે તમને જ કાયર સમજશે। તે પ્રજાને રંજાડશે અને દેશનો વિનાશ કરવાના રસ્તાઓ જ શોધશે। 

પાંડવો બધી રીતે કૌરવોને સમજાવવાના પ્રયત્નો કર્યા, છતા તેમની સજ્જનતાને કાયરતા સમજીને હમેશા તેમને ઉપેક્ષિત જ કરવામાં આવ્યા।અને જયારે છેવટે યુદ્ધનો અને ન્યાયનો સમય આવ્યો ત્યારે અર્જુન પીછેહટ કરે છે, જે અત્યારે અસ્થાને છે। શ્રીકૃષ્ણ કહે છે, કે જે સમયે જે કરવાનું છે તે કરવું જ જોઈએ . એવા સમયે ન્યાય જે માંગે છે તે આપવું જ રહ્યું . ત્યારે અહિંસાની પીપુડી વગાડીને ભાગી જવું સૌથી સરળ છે, અને ન્યાય માટે લડીને સંઘર્ષ કરવો એ વીરોનું જ કામ છે .

સ્વામીજી સમજાવે છે કે જેમ અર્જુન ભાગેડુવૃત્તિ બતાવે છે, તેવી જ રીતે ઘણા વર્ષોથી ભારત દેશ સાથે પણ આ જ થતું આવ્યું છે . કેટલાક લોકો દેશના યુવાધન અને પૌરુષને ખોટી દિશા બતાવી રહ્યા છે . અહિંસાના નામે તેઓ દેશને અંદરથી પૌરુષહીન બનાવી રહ્યા છે . એની માટે તેઓ ધર્મનો સહારો લઇ ભગવાનનો ડર બતાવે છે . અહિંસાનો સાચો અર્થ એ છે, કે અર્થહીન હિંસા ના કરવી . નહિ કે સ્વરક્ષણ કે દેશ માટે આપત્તિના સમયે પણ બેસી રહેવું . એ તો ભાગેડુવૃત્તિ અને પલાયનવાદ થયો કહેવાય, જેનાથી સમાજનો વિનાશ જ થાય . અસામાજિક વૃત્તિઓને તેનાથી તાકાત મળે અને સમાજને લાંબે ગાળે નુકસાન જ થાય . તેમાંથી સમાજને બહાર કાઢવો જોઈએ અને તેની માટે યુવાનોને પ્રાચીન હિંદુ ધર્મનું સાચું જ્ઞાન મળે એ જરૂરી છે। 

તેઓ કહે છે, કે જે ધર્મ પોતાના અનુયાયીઓ અને દેશની પ્રજાનું રક્ષણ ના કરી શકે તે લાંબુ તાકી ન શકે . અને તેથી ન તો તે દેશ ટકી શકે . એવા કેટલાયે ધર્મો છે જે અહિંસાને નામે નામશેષ થઇ ગયા, અને કેટલાયે છે જે પોતાની તાકાતથી સમગ્ર વિશ્વમાં પોતાની ધજા ફરકાવી શક્યા  છે . મુસ્લિમ અને ખ્રિસ્તી ધર્મોએ પોતાનો ફેલાવો કરવા માટે ઘણા યુદ્ધો કર્યા છે, અને તેથી જ તેઓ આજે પણ સમગ્ર વિશ્વમાં એક આગવું સ્થાન ધરાવે છે . 

અહી વાત ધર્મોની કે સંપ્રદાયોની નથી, કે નથી કોઈ ભગવાનની। વાત છે મનુષ્યના મૂળભૂત અધિકારો અને સામાજિક કર્મો અને કર્તવ્યોની . આપણે આપણી જવાબદારીઓમાંથી "સન્યાસ"નું નામ લઈને છટકી ન શકીએ, સન્યાસ તો ઘરે બેઠા પણ મળી શકે જો મન સ્થિર હોય તો! એની માટે કઈ ઘરેથી ભાગી જવાની જરૂર નથી . અહિંસાનો સહારો લઈને આપણે ન્યાય અને અન્યાય વચ્ચેનો ફર્ક ભૂલી જઈએ તે ખોટું છે, અને સમાજ-દેશનો વિનાશ કરનારી વિચારધારા છે . 

સ્વામીજીએ ખૂબ ચોટદાર દલીલોથી ગીતાનો કર્મ સિધ્ધાંત સમજાવ્યો છે, અને એની માટે તેમને મહાભારતના એક એક પ્રસંગનો ખૂબ સરસ રીતે ઉપયોગ કર્યો છે . તે કહે છે, કે ગીતા એ કોઈ ધર્મ કે સંપ્રદાયથી ઉપર એક વિચારધારા છે, જે સમાજ અને દેશના વિકાસ અને રક્ષણ માટે આપણને પ્રેરણા આપે છે! આ પુસ્તક વાંચવાથી એ વિચારધારાનો એક દ્રષ્ટિકોણ જરૂર નજર  સામે  આવે છે .

સ્વામી સચ્ચિદાનંદ - એક પરિચય 
વધારે જાણકારી તેમની website www.sachchidanandji.com/ પરથી મળી શકશે।

તેઓ મનુષ્યના કર્મશીલ હોવા પર ભાર મુકે છે અને સતત પ્રયત્નશીલ રહેવાની પ્રેરણા આપે છે અને આ પુસ્તકમાં તેમણે ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા મહાભારતમાં દર્શાવેલા કુરુક્ષેત્રના યુધ્ધમાં ગાયેલી ગીતાનો મહિમા એ રીતે જ દર્શાવ્યો છે।

No comments:

Post a Comment